વડોદરના પ્રબોધસ્વામી જૂથના સંત સાધુ આનંદસાગરે વિવાદિત નિવેદન કરીને સંસારીઓ અને સાધુસમુદાયમાં એક નવા વિવાદને છેડી દીધો છે. સાધુ આનંદસાગરે અમેરિકામાં એક ધાર્મિકપ્રવચન આપતી વખતે ભગવાન શિવનાં ગૌરવ અને મહાનતાને હીણપત લાગે તેવું નિવેદન કર્યું છે. અમેરિકાના ન્યુ જર્સી ખાતે તાજેતરમાં પ્રબોધસ્વામી જૂથ દ્વારા યોજાયેલી સુહૃદયમ પરિવાર શિબિરનો એક વીડિયો યુ ટ્યૂબ ઉપર 'અક્ષરયાત્રા'નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.જેમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.
સનાતન ધર્મના અપમાન સામે પોલીસ કેસ દાખલ કરવાની તૈયારી
નવાઈની વાત એ છે કે, આનંદસાગરના મુખે શિવજીનું આ અપમાન પ્રબોધ સ્વામીની હાજરીમા જ થઇ રહ્યુ હતું અને પ્રબોધસ્વામી આ બધુ સાંભળી રહ્યા હતા. આ ઘટનાએ પ્રબોધસ્વામી જૂથ સામે જૂનું વેર વાળવા માટે પ્રેમસ્વરૂપ જૂથના હરિભક્તોને પૂરતો મસાલો આપી દીધો હતો. પછી તો પૂછવું જ શું? પ્રેમસ્વરૂપ જૂથના હરીભક્તોએ પ્રવચનનો વીડિયો વાયરલ કરી દીધો. એટલું જ નહીં પ્રેમસ્વરૂપ જૂથના હરિભક્તોએ આ વીડિયોને વધુમાં વધુ વાયરલ કરવાની વિનંતી કરી અને સનાતન ધર્મના અપમાન સામે પોલીસ કેસ દાખલ કરવાની તૈયારી પણ કરી લીધી.
સામાજિક સંગઠનોમાંથી પણ ઘેરા પ્રત્યાઘાતો
આ ઘેરા પ્રત્યાઘાતો માત્ર સાધુ સમાજમાંથી જ નહી પરંતુ વિવિધ સામાજિક સંગઠનોમાંથી પણ સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ વિવાદમાં કયા કયા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો મેદાનમાં ઉતર્યા છે. આનંદ સાગર સ્વામી દ્વારા ભગવાન શંકરને હીણપત લગાડનારી ટિપ્પણીના વિરોધમાં હવે રાજકોટ બાર એસોસિએશન પણ ઉતરી આવ્યું હતું. સનાતન ધર્મના સમર્થન માટે રાજકોટ બાર એસોશિયેશના સભ્યોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વામીના ફોટાનું દહન કર્યું હતું એટલું જ નહીં બાર એસોશિયેશને આનંદસાગર સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરવાની પણ માગ કરી છે અને જાહેર કર્યું છે કે, " જો કોઈ સ્વામી વિરુદ્ધ કેસ કરાશે તો બાર એસોસિએશન નિઃશુલ્ક કેસ લડશે.
દશનામ ગોસ્વામી સાધુ સમાજના વિરોધ પ્રદર્શન
તો આ તરફ શંભૂ પર સ્વામીની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં દશનામ ગોસ્વામી સાધુ સમાજના સાધુઓ જોડાયા હતા.ગોસ્વામી સાધુ સમાજના સભ્યો રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ ઉમટી પડ્યા હતા અને સ્વામી આનંદસાગર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. દશનામ ગોસ્વામી સાધુ સમાજના વિરોધ પ્રદર્શન સાથે `ભગવા રંગ ભોલે કા' સમાજે પણ સમર્થન આપ્યું હતું અને ભગવાન શિવના અપમાનના મામલે કાર્યવાહીની માંગણી કરી હતી. આનંદસાગર સ્વામીની શિવજી સામે ટિપ્પણી મુદ્દે રોષ ફાટી નીકળ્યા બાદ રાજકોટમાં સનાતન હિંદુ સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા બી ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શ દરમિયાન આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. અને બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અપીલ કરી હતી..