હવે રાજસ્થાનમાં પણ સીએમ અશોક ગેહલોતને બદલવાની માગ ઉઠી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા દિલ્હી જઈને સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળીને મુખ્યમંત્રી અશોક ગેહલોતને બદલીને પોતાને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠાવી હતી. સચિન પાયલટે સોનિયા ગાંધીને કહ્યું છે કે રાજ્યની ચૂંટણીમાં પાર્ટીની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવા માટે તેઓ "વિલંબ કર્યા વિના" રાજસ્થાનના મુખ્યમંત્રી બનવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટે સોનિયા ગાંધીને કહ્યું હતું કે જો આવું નહીં થાય તો કોંગ્રેસ પંજાબની જેમ રાજસ્થાન પણ હારી શકે છે જ્યાં છેલ્લી ઘડીએ ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા ફેઈલ થઈ હતી.
સચિન પાયલટે 2020ના બળવાને કારણે બે હોદ્દા ગુમાવવા પડ્યાં હતા
આ પહેલા સચિન પાયલટ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ઉપમુખ્યમંત્રી હતા. પરંતુ 2020માં જ્યારે તેમણે પાર્ટી સામે બળવો કર્યો તો તેમને બંને પદ ગુમાવવા પડ્યા. છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે, આવી સ્થિતિમાં તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુલ ગાંધીના સૌથી નજીકના સાથીઓની વાત કરવામાં આવે તો હવે માત્ર સચિન પાયલટ જ બચ્યા છે. કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ અને આરપીએન સિંહ જેવા નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા.
સચિન પાયલટે ગાંધી પરિવારને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બનવા માંગે છે. જ્યારે 2018ની રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો, ત્યારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ન હતા. તેમના સ્થાને અનુભવી અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બે વર્ષ બાદ તેઓ પોતાના સમર્થક ધારાસભ્યોમાંથી 18 ધારાસભ્યોને દિલ્હી લઈ ગયા હતા, જોકે, તેમને ફરીથી મનાવી લેવામાં આવ્યા હતા. સચિન પાયલટના બળવાને કારણે અશોક ગેહલોતની સરકાર પડી ભાંગવાના આરે આવી ગઈ હતી.