ગેરી કર્સ્ટનના કોચ પદે ભારતે એેમએસ ધોનીની કેપ્ટનશિપમાં વર્ષ 2011માં 28 વર્ષ બાદ વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો.
ગેરી કર્સ્ટને સચિન તેંડુલકર વિશે કર્યો મોટો ખુલાસો
ગેરી કર્સ્ટન ભારતીય ટીમ માટે સૌથી સફળ કોચ મનાય છે
સચિન તેંડુલકર પોતાની કારકિર્દીને લઇને ખુશ ન હતા
કર્સ્ટન કોચ બન્યાં બાદ ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો
ધોની અને કર્સ્ટનની જોડીએ મળીને ઈતિહાસ રચી નાખ્યો હતો. ગેરી કર્સ્ટનને ભારતીય ટીમ માટે સૌથી સફળ કોચ માનવામાં આવે છે. મહત્વનું છે કે ગ્રેગ ચેપલ બાદ જ્યારે કર્સ્ટનને ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો તે સમયે ટીમ ઈન્ડિયા અનેક પ્રકારના વિવાદોથી પસાર થતી હતી. ગાંગુલીને કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો, ભારત 2007ના વિશ્વ કપના પહેલા રાઉન્ડથી જ બહાર થયુ હતુ. ત્યારબાદ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તો કર્સ્ટનને ટીમનો નવો કોચ બનાવવામાં આવ્યો હતો. કર્સ્ટન કોચ બન્યાં બાદ ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ લખ્યો અને છેલ્લે 2011માં વિશ્વ કપનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી.
ભારતના પૂર્વ કોચ કર્સ્ટને સચિન તેંડુલકર વિશે કર્યો મોટો ખુલાસો
ભારતના પૂર્વ કોચ કર્સ્ટને સચિન તેંડુલકર વિશે એક મોટો ખુલાસો કર્યો છે. કર્સ્ટને સ્પોર્ટ્સ પત્રકાર સાથે તેમની યુ-ટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું છે કે જ્યારે હું કોચ બની રહ્યો હતો ત્યારે સચિન તેંડુલકર પોતાની કારકિર્દીને લઇને ખુશ ન હતા. પોતાની વાત મુકતા તેમણે કહ્યું, 'જ્યારે હું કોચ બનીને ટીમ ઈન્ડિયામાં આવ્યો હતો. ટીમના ડ્રેસિંગ રૂમમાં કેટલાંક એવા ખેલાડી હતા જે ખુશ ન હતા. ખાસ કરીને સચિન પોતાની કારકિર્દીથી ખુશ ન હતા અને તેઓ સંન્યાસ લેવા અંગે વિચારી રહ્યાં હતા. ટીમમાં ડરનો માહોલ હતો.'
સચિનને લાગતુ હતુ કે તેઓ આગળ નહીં વધી શકે: કર્સ્ટન
'જ્યારે મેં કોચ તરીકે કાર્યભાર સંભાળ્યો તો મારા માટે સૌથી જરૂરી એ હતુ કે ટીમને એક એવા લીડરશિપની જરૂર છે, જે ટીમને આગળ લઇ જઇ શકે. કોઈ પણ કોચ માટે આ એક મોટો પડકાર હોય છે, એવા સમયે ઘણા લોકો ખુશ ન હતા અને તેના કારણે દરેક વ્યક્તિને સમજવુ ખૂબ જરૂરી હતુ. તે વખતે સચિનને લાગતુ હતુ કે તેઓ તેમની કારકિર્દીમાં આગળ નહીં વધી શકે અને તેઓ સંન્યાસ અંગે પણ વિચારી રહ્યાં હતા. મારા માટે જરૂરી હતુ કે તેમની પાસે જવુ અને તેમને સમજાવી શકુ. તેમને એવો અહેસાસ અપાવુ કે હજી પણ તેઓ ભારત માટે ઘણુ બધુ કરી શકે છે.'