ICC ક્રિકેટ વિશ્વકપની 12મી સિઝન 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થવા જઇ રહી છે. તમામ ક્રિકેટ દિગ્ગજોનું માનવું છે કે ઇંગ્લેન્ડ અને ભારતની ટીમ વિશ્વકપ 2019ની જીતની સૌથી વધારે પ્રબળ દાવેદાર છે. પરંતુ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન ટેન્ડુલકરનું માનવું છે કે બે ટીમ ભારતના વિશ્વકપ અભિયાનમાં અડચણ પેદા કરી શકે છે.
સચિન ટેન્ડુલકરે આ બે ટીમોથી સાવચેત રહેવા ચેતવણી આપી છે. મુંબઇ મિરર સાથેની એક વાતચિતમાં સચિન ટેન્ડુલકરે કહ્યું, 'ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી ભારતે બચીને રહેવું પડશે. બંને ટીમમાં ઘણું સંતુલન છે. આ ઉપરાંત અન્ય બે ટીમ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પણ વિશ્વકપમાં ભારતને જોરદાર ટક્કર આપી શકે છે. પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝની ટીમ પણ સંતુલિત છે. પરંતુ જો મારે કોઇ બે ટીમ સિલેક્ટ કરવાની હોય તો તો મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચ ઘણી મહત્વપૂર્ણ બની રહેશે.'
આ પહેલા ઘણા ક્રિકેટ પંડિત ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે, ભારત, ઇંગ્લેન્ડ. ઓસ્ટ્રેલિયાની ટીમોનું સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી છે. જો વાત કરવામાં આવે દાવેદારની તો વિશ્વકપ જીતવા માટે સાત ટીમ દાવેદાર છે. જ્યારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમોને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઘણો અનુભવ છે તેથી આ ટીમો પાસેથી પણ અપસેટની આશા રાખી શકાય છે.
ભારતને પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત 5 જૂને સાઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરવાની છે. લક્ષ્ય એટલું સરળ નહી બની રહે કેમકે ટીમ ઇન્ડિયાએ 9 જૂને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 13 જૂને ન્યુઝીલેન્ડની સાથે અને 16 જૂને મેનચેસ્ટરમાં પાકિસ્તાન સાથે મેચ રમવાની રહેશે. જે બાદ ટીમ ઇન્ડિયાની 30 જૂને ઇંગ્લેન્ડ સાથે સામનો થશે.