કોરોના વૈશ્વિક સ્તરે કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે ભારતમાં અત્યારે 21 દિવસ માટે લોકડાઉન છે. આ સ્થિતિમાં અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટર્સ અને અન્ય દિગ્ગજ હસ્તીઓ આ મહામારીથી પીડિત લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. ત્યારે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે શુક્રવારે COVID-19ની મહામારી સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
કોરોના વૈશ્વિક સ્તરે કહેર વર્તાવી રહ્યો છે
પણ જરૂરિયાતમંદોની મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિને આટલા રૂપિયાનું કર્યું દાન
ભારતના પ્રમુખ ખેલાડીઓની વાત કરીએ તો સચિને બહુ મોટું યોગદાન આપ્યું છે. સચિન સિવાય અન્ય ઘણાં ખેલાડીઓએ પોતાની સેલેરી દાનમાં આપી દીધી છે. જ્યારે અન્ય કેટલાક ખેલાડીઓએ આ ખતરનાક વાયરસ સામે લડવા માટે ચિકિત્સા ઉપકરણો દાનમાં આપ્યા છે. આ વૈશ્વિક મહામારીમાં 24,000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે કોરોના સામેની જંગમાં સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 25-25 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. 46 વર્ષીય સચિન હમેશાં ચેરિટીના કામ સાથે જોડાયેલો રહ્યો છે અને તેણે આ પહેલાં પણ ઘણાં લોકોની મદદ કરી છે. જેના વિશે ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી.
અન્ય પ્રમુખ ક્રિકેટરોમાં પઠાણ બ્રધર્સ-ઈરફાન અને યુસુફે બરોડા પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગને 4000 ફેસ માસ્ક દાનમાં આપ્યા છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પુણે સ્થિત એક એનજીઓમાં 1 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
અન્ય ખેલાડીઓની વાત કરીએ તો પહેલવાન બજરંગ પૂનિયા અને સ્પ્રિંટર હિમા દાસ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ લોકોએ પણ દાન કર્યપં છે. હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસને લઈને ચિંતામાં છે. ત્યારે આ લોકોનું યોગદાન જરૂરિયાતમંદો માટે મોટી મદદ સાબિત થઈ શકે છે.