મહાન ક્રિકેટર સચિન તેંદુલકર અને ચેસ ગ્રેંડમાસ્ટર વિશ્વનાથન આનંદને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટસથી હટાવી દેવામાં આવ્યા છે. આ સલાહકાર પેનલનું ગઠન નરેન્દ્ર મોદી સરકારે દેશમાં રમત-ગમતમાં વિકાસમાં મદદ માટે કરવામાં આવ્યું છે.
હવે હરભજનસિંહ ક્રીસ શ્રીકાંતને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા
પુલેલા ગોપીચંદને પણ સમિતિમાં સ્થાન નહીં
આ સમિતિમાં રમત ગમત વિકાસ માટે સરકારની મદદ કરવામાં આવે છે
ક્રિકેટના ભગવાન ગણાતા પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકર અને પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન ગ્રેંડમાસ્ટર વિશ્વનાથન આનંદને કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. આ બંને પૂર્વ ખેલાડીઓને ઓલ ઈંન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ સમિતિ રમત ગમતમાં વિકાસ સંબંધી મામલામાં સરકારનું મદદ કરવાનું કામ કરે છે જેમાંથી હવે સચિન અને વિશ્વનાથનને કાઢી નાખવામાં આવ્યા છે.
હરભજનસિંહને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા
કેન્દ્ર સરકારની આ સલાહકાર સમિતિને વર્ષ 2015માં તત્કાલીન રમત મંત્રી સર્વાનંદ સોનોવાલે ગઠિત કરી હતી. સમિતિમાં નવા સદસ્યોનાં રૂપે હવે હરભજનસિંહ અને ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રીસ શ્રીકાંતને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ સમિતિમાંથી બે મોટા નામ ગાયબ છે. બેડમિન્ટન હેડ કોચ પુલેલા ગોપીચંદ અને ભારતીય ફૂટબોલ ટીમનાં પૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટીયાનો પણ આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
પુલેલા ગોપીચંદ શા માટે સમિતિથી બહાર ?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સચિન અને વિશ્વનાથન એક કે બે જ બેઠકમાં સામેલ થયા હતા જેથી તેમને કાઢી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો પુલેલા ગોપીચંદની વાત કરીએ તો તેઓ આ વર્ષે ટોક્યો ઓલમ્પિકમાં જવાના હોવાથી તેઓ વ્યસ્ત હશે જેથી તેઓ આ સમિતિની બેઠકોમાં ભાગ લઇ નહિ શકે જેથી તેમને પણ સમિતિમાં લેવામાં આવ્યા નથી.
હવે આ સમિતિમાં લીંબા રામ, પીટી ઉષા, બચેન્દ્રી પાલ, દીપા મલિક, અંજલી ભાગવત, રેનેડી સિંહ અને યોગેશ્વર દત્ત જેવા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.