રાજસ્થાનમાં રાજકીય સંકટ ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે દાવો કર્યો છે કે 25 ધારાસભ્યો તેમની સાથે છે. સચિન પાયલટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે જયપુરમાં બેઠકમાં ભાગ લેશે નહીં.
ધારાસભ્યોને લઈને સચિન પાયલટનો દાવો
25 ધારાસભ્યો સચિન પાયલટની સાથે
અશોક ગહેલોતના 102 ધારાસભ્યોના દાવાને ગણાવ્યો ખોટો
મળતી માહિતી અનુસાર સચિન પાયલટે કહ્યું કે અશોક ગહેલોતની તરફથી જે 102 ધારાસભ્યોના સાથે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે કેમકે 25 ધારાસભ્યો મારી સાથે જ બેઠા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની તરફથી સોમવાર બપોરથી જ અપીલ કરાઈ છે કે સચિન પાયલટને જયપુર બેઠકમાં આવવું જોઈએ, ફોન પર નેતાઓ સાથે વાત કરવી જોઈએ જેથી મતભેદોને દૂર કરી શકાય.
કોંગ્રેસે બેઠક પહેલાં જ કરી હતી આ જાહેરાત
સચિન પાયલટની તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જયપુર બેઠકમાં 90થી વધારે ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસ 102 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસની તરફથી પહેલાં પણ વ્હીપ જાહેર કરાયું હતું અને તેમાં કહેવાયું હતું કે જે ધારાસભ્યો બેઠકમાં સામેલ નહીં થાય તેની પર એક્શન લેવાશે અને સાથે જ તેને પાર્ટીની બહાર કાઢી દેવામાં આવશે. આ સાથે જ સોમવારે જયપુર કોંગ્રેસ ઓફિસથી સચિન પાયલટના પોસ્ટર્સને હટાવી દેવાયા છે.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે