લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠક પર કોંગ્રેસની હાર પછી સચિન પાયલટના રાજીનામાની વાત છે. પાયલટ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એમ બેમાંથી કોઈ એક પદ છોડી શકે છે. તેમાં પણ એવી સંભાવના વધુ છે કે તેઓ ઉપમુખ્યમંત્રી પદ છોડી દેશે. દેશભરમાં કોંગ્રેસના સફાયા બાદ મોટા નેતાઓના રાજીનામા પડી રહ્યા છે.
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને સતત ત્રીજા દિવસે પણ મળવાની તક આપી ન હતી. બીજી તરફ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ સાથે છેલ્લા 3 દિવસોથી મુલાકાત કરી નથી. બન્ને રવિવારથી તેમને મળવાના પ્રયાસો કરી રહ્યા હતા. બન્ને નેતા મુલાકાત માટે તુગલક રોડ સ્થિત નિવાસસ્થાને સવારે 11 વાગે પહોંચ્યા હતા, પરંતુ દિવસભર રાહ જોયા છતા પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શકી ન હતી.
રાહુલે આ બન્ને નેતાઓ સહિત દેશના કોઈ પણ નેતા સાથે મુલાકાત કરી નથી. મુલાકાત ન થવાથી બન્ને નેતાઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં કાર્યકારી બેઠક બોલાવવામાં આવી છે.
રાજ્યમાં કોંગ્રેસની હારનું કારણ પાયલટને સીએમ ન બનાવવાનું છે. જો પાયલટ સીએમ હોત તો લોકસભાના પરિણામો અલગ જ હોત. બીજી બાજુ, હનુમાનગઢના કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ કેસી બિશ્નોઈએ કહ્યું કે, હારની જવાબદારી ગેહલોતે લેવી જોઈએ તેવી વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની હાર અંગે ઘણા રાજ્યોમાં સરકાર અને સંગઠન એક પર બીજા પર જવાબદારી નાંખી રહ્યા છે. જો કે, દિલ્હીમાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં ચૂંટણી સીએમના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી.
જ્યાં સરકાર નથી ત્યાં પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી. એવામાં લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા પણ આ આધારે જ કરવામાં આવશે. રાજસ્થાનમાં કોંગ્રેસ લોકસભાની 25માંથી એક પણ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આવી જ હાર થઈ છે. જેથી રાહુલ ગાંધી નાખુશ જોવા મળી રહ્યા છે.