સાબુદાણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. પરંતુ જો તમને આ સમસ્યાઓ છે તો સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ
આ સમસ્યાઓ હોય તો સાબુદાણાનું સેવન ટાળો
આમ કરવાથી થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન
જાણો કઈ સમસ્યાઓમાં સાબુદાણાનું સેવન ન કરવું
સાબુદાણા દરેક રસોડામાં ઉપવાસ દરમિયાન સૌથી વધુ વપરાતા હોય છે, કારણ કે મોટા ભાગના લોકો ઉપવાસમાં સાબુદાણાનો ઉપયોગ કરે છે, જોકે તમે સાબુદાણાની ખીચડી, ખીર, પકોડા, સાબુદાણા વડાં વગેરે જેવી ઘણી તંદુરસ્ત વાનગીઓ બનાવીને તેનું નિયમિત સેવન કરી શકો છો. સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તેમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાઇબર, એનર્જી, કાર્બોહાઇડ્રેટ, ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે રહેલાં હોય છે. સાબુદાણા ખાવાથી ડાયરિયા, એનીમિયા દૂર થાય છે. ઉપરાંત તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. ગર્ભવતી મહિલાઓમાં આયર્નની ઊણપ, હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરે છે. હાડકાંને મજબૂત બનાવે છે, શરીરને એનર્જી આપે છે. વાળ-ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને પણ ઠીક કરે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઇ શકે છે. તેથી વ્રત અથવા રોિજંદા જીવનમાં તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું. આ રોગોની સમસ્યાથી પીડાતા લોકોએ સાબુદાણાનું અધિક સેવન કરવાનું ટાળવું જોઇએ.
વધારે વજન
જો તમારું વજન વધારે છે અને તમે કોઇ ડાયટ ફોલો કરી રહ્યા છો તો સાબુદાણાનું સેવન કરવાનું ટાળજો, કારણ કે તેમાં વધુ માત્રામાં કેલરી હોય છે, જે વજન વધારવાનું કામ કરે છે અને વજન વધવાથી તમને હૃદય સંબંધિત સમસ્યાઓ, ડાયાબિટીસ. હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય અને શુગર લેવલ વધારે રહેતું હોય તો સાબુદાણા ન ખાશો, તેનાથી શુગર લેવલ વધશે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તે સ્ટાર્ચથી ભરપૂર ખોરાક છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખા, બટાકા, સાબુદાણા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ન ખાવા જોઈએ, તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્ટ પણ વધારે હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે.
પ્રોટીનની ઊણપ
જો તમારા શરીરમાં પ્રોટીનની કમી છે તો સાબુદાણા ખાવાનું ટાળવું જોઇએ. સાબુદાણામાં પ્રોટીનની માત્રા વધુ હોતી નથી. તેથી તેને ખાવાથી પ્રોટીનની કમી પૂર્ણ થતી નથી. વધારે પ્રમાણમાં સાબુદાણા ખાવાથી તમારા શરીરને નુકસાન થઇ શકે છે.
કિડની ડિસીઝ
જે લોકોને કિડનીમાં કોઇ સમસ્યા છે, જેમ કે પથરી તો સાબુદાણાનું સેવન કરવું જોઇએ નહીં. સાબુદાણામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જે કિડનીમાં પથરી સહિત અનેક સમસ્યાઓને વધારી શકે છે.
પાચન સંબંધિત સમસ્યા
જો તમે દરરોજ સાબુદાણાનું સેવન કરો છો તો તમને બ્લોટિંગ, કબજિયાત જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.