શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યકિત સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરે છે. આત્મહત્યાના બનાવોને રોકવા માટે તેમજ ડૂબતા લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ બોટ મૂકી છે પરંતુ તે લોકોના જીવ બચાવવા માટે નાકામિયાબ રહી છે. વાસણા બેરેજથી ઇન્દિરાબ્રિજ સુધી સાબરમતી નદીનો ૨૦ કિલોમીટરનો પટ્ટો છે. જેમાં માત્ર એક જ રેસ્ક્યૂ બોટ મૂકવામાં આવી છે. રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ બોટ લઇને બચાવવા માટે પહોંચે તે પહેલાં ડુબનારનો જીવ જતો રહ્યો હોય છે.
૨૦૧૯ના વર્ષમાં ૯૮ લોકોએ નદીમાં છલાંગ લગાવી હતી
તેમાંથી માત્ર ૧૬ના જીવ બચાવી શકાયા હતા
પરંતુ રેસ્ક્યૂ માટે આશ્ચર્યજનક રીતે માત્ર એક જ બોટ તહેનાત
શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં સરેરાશ રોજ એક વ્યકિત કૂદીને આત્મહત્યા કરે છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે સરકારે તકેદારીનાં પગલાં લેવાનાં ભાગરૂપે તમામ બ્રિજ પર જાળી લગાવી દીધી છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ છે. જોકે જેણે સ્યુસાઇડ કરવાનો નિર્ણય લઇ લીધો છે તે કોઇ પણ રીતે પોતાના જીવનને ટુંકાવીને મોતને વ્હાલું કરે છે.
બ્રિજ પર ફેન્સિંગ લગાવતાં હવે લોકો રિવરફ્રન્ટના વોક વે પરથી કૂદકો મારીને મોતને વહાલું કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક આંકડા પ્રમાણે બ્રિજ પર ફેન્સિંગ લગાવી દીધા બાદ ૯૮ ટકા લોકો વોક વે પરથી ઝંપલાવે છે. નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રશ્ન અતિ ગંભીર બનતો જાય છે ત્યારે તંત્ર તેને રોકવા માટે બને તેટલા પ્રયત્નો કરી રહી છે.
વર્ષ ૨૦૧૮માં નદીમાં ઝંપલાવવાના કુલ ૧૫૮ કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા જેમાં ૧૨૩ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૩૭ લોકોને બચાવવામાં રેસ્ક્યુ ટીમ સફળ રહી હતી. વર્ષ ૨૦૧૯માં નદીમાં છલાંગ લગાવવાના કિસ્સા ઓછા થઇ ગયા હતા. એક વર્ષ દરમિયાન કુલ ૯૮ લોકોએ નદીમાં છલાંગ લગાવી જેમાં ૮૨ લોકોનાં મોત થયાં છે જ્યારે ૧૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ચાલુ મહિનામાં કુલ નવ લોકોએ નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે અને બે લોકોને ફાયરબ્રિગેડ રેસક્યુ ટીમે બચાવી લીધા છે.
સ્યુસાઇડને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી છે ત્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. આ રેસ્ક્યુ ટીમ મેસેજ મળતાં મોટા ભાગે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી લોકોના જીવ બચાવી લે છે. તો બીજી તરફ રિવરફ્રન્ટના વોક વે પર સિક્યોરિટી ગાર્ડસ પણ ગોઠવી દેવાયા છે. તેમ છતાંય લોકો નદીમાં છલાંગ લગાવીને સ્યુસાઇડ કરી રહ્યા છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પોલીસે એક યુવતીને બચાવી લીધી હતી. વોક વે પરથી છલાંગ લાગવીને આત્મહત્યા કરવાનો કોશિશ કરી હતી. જોકે એક પોલીસ કર્મચારીઓ પોતાના જીવની ચિંતા નહીં કરીને તેને બચાવી લીધી હતી.
મહત્વની વાત એ છે કે તંત્ર તમામ મહેનત કરી રહી છે આ સ્યુસાઇડના બનાવોને રોકવા માટે પરંતુ ક્યાંકને કયાંક તે લાચાર છે. વાસણા બેરેજથી સુભાષબ્રિજ સુધી ૧૨ કિલોમીટરનો પટ્ટો સાબરમતીનો છે. ત્યારે ઇન્દિરાબ્રિજ સુધી ૨૦ કિલોમીટર થાય છે. હવે ૨૦ કિલોમીટરના સાબરમતીના પટમાં લોકોના જીવ બચાવવા માટે એકજ સ્પીડ બોટ છે. જે વલ્લભસદન પાસે ઊભી હોય છે.
ઉદાહરણ તરીકે જો કોઇ જમાલપુર બ્રિજ પરથી ઝંપલાવે અને તેજ સમય પર કોઇ સાબરમતી બ્રિજ પરથી ઝંપલાવે તો સ્પીડ બોટ કોઇ એક વ્યકિતને બચાવવા માટે જઇ શકશે. ફાયરબ્રિગડ પાસે સાત સ્પીડ બોટ છે. જે મોટાભાગે ચોમાસામાં ઉપયોગમાં આવે છે. જો સાત બોટ પૈકી ત્રણ બોટ પણ નદીમાં રેસ્ક્યુ માટે મૂકે તો ડૂબતી વ્યકિતને સમયસર બચાવી શકાય તેમ છે.
આ મામલે ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું છેકે એક બોટ રેસ્ક્યુ માટે મૂકી છે જ્યારે તે બચાવવા માટે જાય ત્યારે વ્યકિતનું મોત થઇ ગયું હોય છે. પાંચ મિનિટના સમયમાં વ્યકિતનું ડૂબવાથી મોત થાય છે. પાંચ મિનિટના સમયમાં જોઇ રેસ્ક્યુ ટીમ પહોંચી જાય તો તે બચી શકે છે.