ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે નવા નીરની આવક થતા નદીઓ બે કાંઠે, નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ, સપ્તેશ્વર મંદિર થઇ શકે છે નદીના પાણીમાં ગરકાવ
સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યુ
સાબરમતી નદીનું પાણી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસ્યુ
ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાતા નદીમાં આવ્યું પૂર
શ્રાવણ માસમાં ભક્તો શિવજીને જળાભિષેક કરે છે. પરંતુ સાબરકાંઠામાં તો ખુદ નદીના પાણી શિવજીના દ્વારે આવ્યા તેમ કહેવુ ખોટું નહી. જી,હા સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી નદીના પાણી પહોંચી ગયા છે. સાબરમતી નદીનું પાણી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચ્યુ છે. ધરોઇ ડેમના આઠ દરવાજા ખોલાતા નદીમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. જેને કારણે મંદિર સુધી પાણી પહોંચ્યા છે. જો હજી પણ પાણી છોડવામાં આવશે તો મંદિર અને પરિસર બંને પાણીમાં ગરકાવ થશે તે વાતમાં કોઇ બેમત નહી.
ભક્તો ઉમટ્યા
મહાદેવના મંદિરમાં નદીનું પાણી આવતા ભક્તો પણ આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા. દૂર દૂરથી વહેતુ આવતુ પાણી મંદિરમાં પ્રવેશતા જ ભક્તોમાં પણ અલગ લાગણી જોવા મળી હતી. વળી પાછો શ્રાવણ માસ હોવાથી મહાદેવજીના દર્શન કરવા માટે ભક્તો અચૂક હાજર રહ્યા હતા. નદીની જળસપાટીમાં વધારો થતા લોકો પણ આ દ્રશ્યોને મોબાઇલમાં કેદ કરતા જોવા મળ્યા.
ધરોઇ ડેમમાં પાણીની આવક
ઉલ્લેખનીય છે કે મહેસાણાના ધરોઈ ડેમમાં 36 હજાર 382 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો સામે 36 હજાર 382 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હાલ ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફૂટ થઈ ગઇ છે. ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમમાં હાલ પાણીનો સ્ટોક 88.47 ટકા નોંધાયો છે. પાણીની આવક વધતા ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.