હત્યા અને લૂંટના કેસમાં સંડોવાયેલો ખંડણીખોર વિશાલ ગોસ્વામી જેલમાં બેઠાં બેઠાં ખંડણીનું નેટવર્ક ગુજરાત અને અન્ય રાજ્યમાં ચલાવતાે હોવાનો પર્દાફાશ થતાં સાબરમતી સેન્ટ્રલ જેલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યું છે, પરંતુ જેલમાંથી અવારનવાર મળી આવતા મોબાઇલ ફોનના કારણે જેલ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઊભા કર્યા છે.
વિશાલ ગોસ્વામીના મોબાઇલ પર ચાલતા ખંડણીના નેટવર્કનો થયો હતો પર્દાફાશ
૨૦૧૯માં સૌથી વધુ ૭૦ મોબાઇલ ફોન જેલમાંથી પકડાયા
ખુંખાર અપરાધી અને આતંકવાદીઓ જ્યાં બંધ છે ત્યાં લગાવેલા 4જી (ફોર્થ જનરેશન ઇન્ટરનેટ) જામર ઠપ છે. જેલની દીવાલો પર લગાવેલાં 4જી જામર વર્કિંગ કન્ડીશનમાં નથી. વિશાલ ગોસ્વામીના ખંડણીના રેકેટનો પર્દાફાશ થયા પછી પણ ગઇ કાલે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો છે.
અંદાિજત ૬ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે, જેમાં ૩પ૦૦ કરતાં વધુ કાચાકામ તેમજ પાકાકામના કેદી બંધ છે. સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી ગણવામાં આવે છે, જ્યાં ગુનેગારો ભેગા થઇને ગુનાઇત કાવતરાં ઘડતા હોય છે. જેલમાં ચેતન બેટરીની હત્યા અને આંતકવાદીઓએ કરેલી સુરંગ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ સિવાય પણ ટેિલફોન મારફતે ખંડણીનાં રેકેટ ચાલતાં હોવાનો પણ અનેક વખત પર્દાફાશ થયો છે.
જેલમાં મોબાઇલ મળવા તે કોઇ મોટી વાત નથી, પરંતુ હાઇ સિક્યોિરટી ઝોન હોવા છતાંય મોબાઇલ કેવી રીતે ઘુસાડવામાં આવે છે અને 4જી જામર હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે એક ચર્ચાતો સવાલ છે. આ મામલે જેલ અધિક્ષક મહેશ નાયકે જણાવ્યું છે કે, જેલના તમામ '4જી' જામર વર્કિંગ કન્ડીશનમાં નથી. '4જી' જામર શરૂ કરવા માટે જેલ સત્તાવાળાઓને અનેકવાર પત્રો લખ્યા છે.
જેલમાં ર૦૦૮થી 2જી જામર લાગેલાં હતાં, જોકે જમાનો 4જીનો આવી ગયો છે, જેથી 3જી અને 4જી સામે 2જીના જામરની ટેક્નોલોજી સંપૂર્ણ સુરક્ષિત નહીં હોવાનું ધ્યાને આવતાં જેલ સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓએ '4જી' જામર લગાવવાનો નિર્ણય લીધો હતો અને વર્ષ ર૦૧૭માં અંદાિજત રપ લાખ રૂપિયાના ખર્ચે સેન્ટ્રલ જેલ ફરતે 4જી જામર લગાવી દીધાં હતાં.
4જી જામર લગાવી દીધાં હોવા છતાંય બિનધાસ્ત કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઇલ ફોન સિવાય હવે ઇન્ટરનેટનો પણ ભરપૂર ઉપયોગ કેદીઓ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેદીઓએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફેક એકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. વિશાલ ગોસ્વામી સેન્ટ્રલ જેલમાં વોટ્સએપ કોલ તેમજ VOIP એપ્લિકેશન દ્વારા વેપારીઓને કોલ કરીને ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. સવાલ એ ઊભો થાય છે કે 4જી જામર હોવા છતાંય કેદીઓ કેવી રીતે મોબાઇલ ફોન વાપરે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે નહીં તે મામલે જેલ તંત્રએ ૬ કિલોમીટરની જેલમાં ૧પ 4જી જામર લગાવેલાં છે. આ 4જી જામરની કેપેસિટી ૭પ મીટર સુધીની છે. જો કોઇ પણ કેદી ૭પ મીટરથી દૂર જઇને મોબાઇલ ફોનમાં વાત કરે તો 4જી જામર કામ કરતું નથી. આ સિવાય અમુક ચોક્કસ સમયે 4જી જામર બંધ કરી દેવામાં આવતાં હોય અથવા જામરની ફ્રીકવન્સીમાં ગરબડ હોય તેવી આશંકા છે.
નિરમા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલના એસ.જી.હાઇવે સ્થિત મકાનમાં લૂંટના ઇરાદે ધાડ પાડનાર ખૂંખાર અપરાધી મહાલિંગમ ઉર્ફે શિવાએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જુહાપુરાની નામચીન વ્યકિતની હત્યા કરવા માટે બે યુવકોને સોપારી આપી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠાં બેઠાં શિવાએ શોએબ ગોટીવાલા નામની વ્યકિતની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો અને શૂટરોને હથિયારોનો બંદોબસ્ત કરાવી આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે શૂટરોના ફોન ઇન્ટરસેપ્શન કરતાં ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.