સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લાં સવા ત્રણ વર્ષથી કાચા કામના કેદી તરીકે બંધ હત્યા કેસ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેસમાં સંડોવાયેલ અફઘાિનસ્તાનનો યુવક ગઇ કાલે પોલીસ જાપ્તાને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઇ છે.
કોર્ટની મુદત પૂરી કરીને યુવક પોલીસ જાપ્તા સાથે રિક્ષામાં બેસી પરત જેલમાં આવતો હતો તે સમયે સેન્ટ્રલ જેલના ગેટ પાસે પથરીનો દુખાવો હોવાથી બાથરૂમ કરવા જવું છે તેમ કહીને રિક્ષા ઊભી રાખવા કહ્યું હતું. પોલીસ કર્મચારીના આદેશથી રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી હતી અને યુવકની હાથકડી ખોલીને બાથરૂમ કરવા માટે લઇ જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસને ધક્કો મારીને યુવક બીજી રિક્ષામાં બેસી નાસી જતાં પોલીસ કર્મચારીઓની સંડોવણીના મામલે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જન્મનું સર્ટિફિકેટ તેમજ લાઇસન્સ, પાનકાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વર્ષ ર૦૧૩થી અમદાવાદમાં ગેરકાયદે રહેતા અફઘાનિસ્તાનના સૈફુલ્લાખાન અકબરખાન પઠાણ વિરુદ્ધમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચીટિંગ અને છેતરિપંડીનો ગુનો દાખલ થયો હતો.
આ કેસમાં ગઇ કાલે મેટ્રોપોલિટન કોર્ટમાં મુદત હોવાથી સૈફુલ્લાખાન અકબરખાન પઠાણને પોલીસ વાનમાં પોલીસ જાપ્તા સાથે સાબરમતી સેન્ટ્રલ જેલથી કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. કોર્ટની કાર્યવાહી પૂરી થઇ જતાં પોલીસ વાનના ડ્રાઇવરે કોઇ કારણસર સૈફુલ્લાખાન પઠાણને પોલીસ જાપ્તા સાથે જેલ લઇ જવા માટે કોર્ટની બહાર રિક્ષા ઊભી કરી દીધી હતી. બે પોલીસ કર્મચારીઓ સૈફુલ્લાખાનને રિક્ષામાં બેસાડીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં જવા માટે રવાના થયા હતા.
સાબરમતી સેન્ટ્રલ જેલની દીવાલ પાસે અચાનક સૈફુલ્લાખાને પથરીનો દુખાવો થઇ રહ્યો છે, બાથરૂમ કરવા માટે જવું છે તેમ કહીને રિક્ષા ઊભી રાખવા માટે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું. પોલીસ કર્મચારીઓએ સૈફુલ્લાખાનની વાત માનીને રિક્ષાચાલકને રિક્ષા ઊભી રાખવા માટે કહ્યું હતું. સેન્ટ્રલ જેલના ગેટ નજીક રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી હતી, જેમાં બે પોલીસ કર્મચારીઓએ હાથકડી પહેરાવીને સૈફુલ્લાને નીચે ઉતાર્યો હતો.
રોડ સામેની સાઇડ પર આવેલા રેલવે ટ્રેક નજીક પોલીસ કર્મચારી મૂકેશ સિંહે સૈફુલ્લાની હાથકડી ખોલતાંની જ સૈફુલ્લા મૂકેશસિંહને ધક્કો મારીને રેલવે ટ્રેક તરફ નાસી ગયો હતો. મૂકેશસિંહ અને વાલસિંગ તેને પકડવા માટે દોડ્યા હતા, જોકે તે કોઇ રિક્ષામાં બેસી નાસી ગયો હતો.
બન્ને પોલીસ કર્મચારીઓ જે રિક્ષામાં સૈફુલ્લાને લઇ આવ્યા હતા તે રિક્ષા પણ જતી રહી હતી. જેલની નજીકથી સૈફુલ્લા નાસી જતાં પોલીસે નાકાબંધી કરી દીધી હતી અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તો બીજી તરફ મોડી રાતે દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ પણ તેના વિસ્તારમાં જઇને શોધખોળ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-ર૦૧૬માં દરિયાપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલ સુલતાન મહોલ્લામાં રહેતા યુસુફ ઉસ્માનગની શેખની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સૈફુલ્લાખાન અકબરખાન પઠાણ ઉર્ફે રહેમાનખાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસને તેના ઘરેથી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જન્મનું પ્રમાણપ્રત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટના દસ્તાવેજો મળી આવ્યા હતા.
સૈફુલ્લાખાનને પોલીસ વાનમાં કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો, જોકે કોર્ટની મુદત પૂરી થઇ જતાં ડ્રાઇવરે તેને પોલીસ વાનમાં બેસાડીને જેલમાં લઇ જવાની જગ્યાએ રિક્ષામાં બેસાડીને જેલમાં મોકલ્યો હતો. સૈફુલ્લાખાન અને જેલ વચ્ચે પ૦૦ મીટરનું પણ અંતર હતું નહીં તેમ છતાંય પોલીસ કર્મચારીઓ રિક્ષા ઊભી રાખી હતી અને તેને બાથરૂમ કરાવવા માટે હાથકડી ખોલી હતી.
સૈફુલ્લાખાન નાસી છૂટ્યો ત્યારે રિક્ષાચાલક તેની રાહ જોઇને ઊભો હતો જ્યારે પોલીસ જે રિક્ષામાં તેને લઇને આવી તે પણ જતી રહી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે સૈફુલ્લાખાન પઠાણ પૂર્વ આયોિજત કાવતરું ઘડીને નાસી ગયો છે.