ગત 2જી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન તેમણે ગાંધી આશ્રમના વિકાસની વાત વહેતી મૂકી હતી. એ પછી ગાંધી આશ્રમના અલગ અલગ સર્વે નંબરો પર જમીનમાપણી સર્વેયરોની ગતિવિધિ તેજ બની ગઈ છે. ત્યારે આશ્રમ પરિસરમાં વર્ષોથી વસતા પરિવારોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
ગાંધી આશ્રમનો થશે વિસ્તાર
સર્વેની ગતિવિધિ થઈ તેજ
અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે ખુદ મહાત્મા ગાંધીના હસ્તે બનાવવામાં આવેલો ગાંધીઆશ્રમ દેશ વિદેશમાં આગવી ખ્યાતિ ધરાવે છે. આઝાદીની લડાઈમાં એકતા, શિસ્ત, સ્વદેશી ઉપાર્જનનું પ્રતીક બનેલો આ ગાંધી આશ્રમ વર્ષોથી અનેક જિજ્ઞાસુ માટે આકર્ષણનું કેદ્ર બન્યો છે.
પરંતુ જ્યારથી પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ આ આશ્રમને 3 એકરમાંથી વિસ્તારીને 30 એકરમાં ફેલાવવાની વાત વહેતી મૂકી છે ત્યારથી અહીં વસતા અનેક પરિવારોમાં છૂપો અજંપો જોવા મળી રહ્યો છે. વળી પ્રધાનમંત્રીએ આશ્રમના વિકાસની વાત જાહેર કરી ત્યારથી ગાંધી આશ્રમ પરિસર અને તેના વિવિધ સર્વે નંબરો વાળી જમીન પર જમીન માપણીની ગતિવિધિ તેજ થઈ ગઈ છ. હાલ આ આશ્રમના પરિસરમાં જિયોગ્રાફિક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આશ્રમવિસ્તારનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
જ્યારથી આશ્રમનો ડેવલોપ કરવાની વાતે જોર પકડયું છે ત્યારથી આ પરિવારોમાં થોડો અંજપો જોવા મળી રહ્યો છે. વળી આશ્રના વિકાસના કારણે પોતાના આશરા છીનવાઈ જશે તેવો ભય પણ આશ્રમવાસીઓમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ આશ્રમના વિકાસ સાથે સાથે આશ્રમની શાંતિ પણ હણાઈ જશે તે વાતની તેમનામાં નારાજગી પણ જોવા મળી રહી છે. તેમની આ નારાજગી ત્યારે જોવા મળી જ્યારે આશ્રમની જમીનનો સર્વે કરવા સર્વેયરો આવ્યા. પરંતુ આશ્રમવાસીઓએ જિયોગ્રાફિકસ પ્રાઈવેટ લિમિટેડના સર્વેયરોની કામગીરી અટકાવી દીધી હતી.
હાલ હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીન પર વિવિધ વસાહતોમાં 2000 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેમાંથી ઘણા પરિવારોના પૂર્વજો ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી ગાંધીજી સાથે જ અહીંયા રહેવા માટે આવ્યા હતા. જો કે, હાલ એ અંતેવાસીઓની ત્રીજી પેઢી અહી વસવાટ કરી રહી છે. તેમના મકાનોની માલિકી તેમની નથી પરંતુ ટ્રસ્ટની છે. પરંતુ આશ્રમવાસીઓનું કહેવું હતું કે, અમને કશી જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર કામગીર શરૂ કરવામાં આવી છે. જે અમને મંજૂર નથી.
ગાંધી આશ્રમને નવો લુક આપવામાં આશ્રમ ની આસપાસના 200 મકાનો ખાલી કરાવવાની વાત છે, ત્યારે 2000 આશ્રમવાસીઓ એ ચિમકી આપી છે કે કરોડોના બાંગ્લા આપશે તો પણ આ જગ્યા ખાલી નહિ કરીએ. એટલું જ નહીં જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના દરવાજા પણ ખખડાવવાની આશ્રમવાસીઓએ તૈયારી બતાવી છે. હાલ તો ગાંધી આશ્રમને વિકસાવવાની વિચારણાથી આશ્રમવાસીઓમાં નારાજગી ફેલાઈ છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં.