બપોર બાદની તંગદીલીના માહોલ બાદ હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં, અન્ય જિલ્લાઓની પોલીસની ટૂકડીઓ પણ તૈનાત કરાઈ
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ
13 તારીખ સુધી 144 લાગૂ રહેશે
4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર મુકાયો પ્રતિબંધ
સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થતાં છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ કલમ 13 તારીખ સુધી સમગ્ર વિસ્તારમાં લાગૂ રહેશે. હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી, ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચૌક સુધીના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. છાપરીયા વિસ્તારમાં હિંસાને પગલે એસઆરપી બોલાવવામાં આવી છે તો સાથે અરવલ્લી અને મહેસાણાની પોલીસની ટૂકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી હાલ સ્થિત પર કાબૂ જોવા મળી રહ્યો છે.
13 તારીખ સુધી સમગ્ર છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગુ
હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી વિસ્તારમાં પ્રતિબંધ
ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચોક સુધી પ્રતિબંધ
હિંમતનગરના પાણપુર પાટિયા પાસે પણ પોલીસની ટીમ તૈનાત
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થિતિની સમીક્ષા કરી
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી. આ સ્થિતિ વચ્ચે સરકાર સક્રિય થઇ છે.સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ મામવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે મહત્વની બેઠક યોજાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ બંને શહેરોમાં થયેલા ઘર્ષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી.
હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, હાલ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સૌથી ગંભીર માહોલ સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો. અહીં જ્યારે હિંદૂ સંગઠનો દ્વારા છાપરિયા રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા યોજી તો કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. હિંદૂ સંગઠન અને અસામાજીક તત્વો વચ્ચે હિંસા ફેલાઈ. જેમાં કેટલાક તત્વોએ બાઈક અને જીપને આગચંપી પણ કરી હતી. જોકે હિંસાની જાણ થતા જ જિલ્લા પોલીસ દોડી આવી હતી. જોકે સ્થિતિ એટલી વણસી હતી કે, ટોળાને વિખેરવા માટે પહોંચેલા પોલીસના કાફલા પર પણ હુમલો થયો હતો. જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. જોકે અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે પોલીસે 5 ટીયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવીને માહોલ શાંત પાડ્યો હતો. SRP બટાલિયનને હિંમતનગર બોલાવાઈ છે. અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. હાઇવે વિસ્તારમાં 2 દુકાનના કાચ તૂટ્યા છે, તો 2થી વધુ દુકાનો સળગાવી દેવામાં આવી હતી.
આણંદના ખંભાતમાં ભડકી હતી હિંસા
આ તરફ આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે જીવ ગુમાવ્યો છે. શહેરની મુખ્ય બજારમાં દુકાનોમાં આગચંપીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. ટાવર બજાર વિસ્તારો અસામાજિક તત્વોએ 7થી 8 દુકાનોમાં આગ લગાવી દીધી હતી. જોકે સ્થિતિ કાબૂ બહાર પહોંચે તે પહેલા જ સમગ્ર વિસ્તારમાં SP, ASP, જિલ્લા LCB અને SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી.
ખંભાતમાં 1નું મોત
આણંદ ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન સક્કરપુરમાં પથ્થરમારાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતુ. મનુભાઈ રાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયુ હોવાની વિગત સામે આવી રહી છે પોલીસે સમગ્ર મામલે વધારે કાર્યવાહી હાથધરી છે. મૃતકના પોસ્ટમોટર્મ બાદ મૃત્યુનું કારણ સામે આવી શકે છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
આ ઘટનાઓને લઈને સવાલ એ થાય છે કે, ગુજરાતમાં એવા તત્ત્વો કોણ છે જે બે કોમ વચ્ચે હિંસા ભડકાવવાના પ્રયાશો કરે છે? ધર્મના નામે હિંસા ભડકાવી શું મળવાનું છે? કેમ દરેક ધર્મને બીજા ધર્મના લોકો સન્માન ન આપી શકે? કોઈને નુકસાની પહોંચાડીને શું મળી જવાનું છે? સવાલો અહીં ધર્મનના નામે ઝેર ફેલાવનારા તત્વો સામે છે. ત્યારે આશા રાખીએ કે, આવી ઘટનાઓ ગુજરાતમાં ન ઘટે અને પોલીસ પણ આવા હિંસા ફેલાવતા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે.