સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના વીરપુર ગામે ગુજરાતનો સર્વ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ 06-04-2016ના રોજ તત્કાલીન ગૃહરાજ્ય અને સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રી રજની ભાઈ પટેલના હ્સ્તે ઉદ્ધાટન કરી ગ્રામજનોને ગેસ આપવા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
બાયોગેસ પ્લાન્ટમાં કમીટી રચી ખેડૂતો પાસેથી કાચું ગોબર એકઠું કરી પ્લાન્ટ ઉપર લાવી અને ગેસ ઉત્પન્ન કરવાનો હતો. ત્યારબાદ તેમાંથી નીકળેલા ખાતરને વર્મી કમ્પોસ્ટ કરી ખેડૂતો તેનું વેચાણ કરી આવક મેળવશે અને ગોબર ગેસમાંથી નીકળતો બાયોગેસ પાઈપ લાઈન દ્વારા વીરપુર ગામના 50 બી.પી.એલ. લાભાર્થીઓને માસિક 150 રૂપિયાના ખર્ચે આપવામાં આવશે તેમ ગેસના નામે હથેળીમાં ચાંદ બતાવવામા આવ્યો હતો.
47 લાખના ખર્ચે ચાલુ કરવામાં આવેલો બાયોગેસ માત્ર ઉદ્ધાટન માટેજ કાર્યરત કરવામાં આવ્યો હોય તેમ માત્ર 2-3 દિવસ પણ ચાલુ રહ્યો નથી. છેલ્લા 2વર્ષથી પ્લાન્ટ શોભાનો ગાંઠીયો સમાન થઇ ગયો છે. પ્લાન્ટ માં બાવળ અને આકડા ઉગી ગયા છે મશીનરીને પણ કાટ લાગી ગયો છે.
આ બાયોગેસ પ્લાન્ટ અત્યારે તદ્દન મૃત પાયાની હાલતમાં જોવા મળી રહ્યો છે. ગેસના નામે લાભાર્થીઓને મોટા-મોટા સપના બતાવવામાં આવ્યા હતા અત્યારે મજબુર ખેડૂતોએ ફરીથી પાઈપો કાઢી ચૂલા ચાલુ કરી દીધા છે.
ગુજરાતનો સર્વપ્રથમ બાયોગેસ પ્લાન્ટ વીરપુરમા સ્થાપાઈરહ્યો હોવાથી ગ્રામજનો ખુશ હતા તેમણે બહુ મોટો હાશકારો અનુભવ્યો હતો. આ પ્લાન્ટ થકી લોકોને રોજગારી પણ મળવાની હતી અને આ પ્લાન્ટ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થપાયો હતો પરંતુ શરૂઆતમાં માત્ર 2 જ દિવસ ચાલ્યો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બાયોગેસ પ્લાન્ટ માત્ર રજનીભાઈના ઉદ્ઘાટન કરવા માટે જ ચાલુ કરાયો હતો. જયારે પશુપાલન અધિકારીઓએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે એજન્સી રોકી પી.પી.પી મોડેલ ઉપર ફરી પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે.