સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે વેચેલા ઘઉંનું પેમેન્ટ ન મળતા ખેડૂતોની હાલક કફોડી બની ગઇ છે. ચોમાસુ નજીક આવતા હાલ કપાસ મગફળીના વાવણીનો સમય થઇ ગયો છે પરંતુ ખેડૂતો પાસે પૈસા ન હોવાથી બિયારણ ખાતરની ખરીદી કરી શકતા નથી.
ખેડૂતોએ ટેકાના ભાવે વેચેલા ઘઉંનું પેમેન્ટ બે મહિનાથી 4266 ખેડૂતોને સરકારે પેમેન્ટ ચુકવ્યું નથી. જેથી ખેડૂતોને બિયારણ ખરીદવામાં ખુબ જ તકલીફો ઉભી થઇ છે ખડૂતેની હાલત ખરાબ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 8473 ખેડૂતો પાસેથી 1 લાખ 16 હજાર 282 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરાઈ હતી.જેનું પેમેન્ટ 20 કરોડ 17 લાખ 50 હજાર 450 રૂપિયા થાય છે. જેમાંથી માત્ર 4 હજાર 207 ખેડૂતોને 6 કરોડ 96 લાખ74 હજાર 521 રૂપિયા ચૂકવાયા છે.
જયારે 4 હજાર 266 ખેડૂતોના 13 કરોડ 20 લાખ 75 હજાર 929 રૂપિયા ખેડૂતોને ચુકવવાના બાકી છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. જીલ્લા પુરવઠા અધિકારીને આ બાબતે પૂછતાં પુરતો સ્ટાફ ન હોવાનું બહાનું આગળ ધરી દીધું હતું. ટૂંક સમયમાં ખેડૂતોનું પેમેન્ટ ચૂકવાઈ જશે તેવી ખોખરી હૈયાધારણા અધિકારીએ આપી હતી. ત્યારે સવાલ ઉભો થાય છે કે ખેડૂતોનુ પેમેન્ટ ક્યારે ચુકવાશે.