ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે. તેવામાં કોંગ્રસની સ્થિતી એક સાંધે ત્યા તેર તુટે તેવી છે. જ્યારે ભાજપમાં ભરતી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કરતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સાબરકાંઠામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા પણ 125 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ત્યારે ફરી એક નવા સમાચાર સામે આવ્યા છે. ખેડડબ્રહ્મામાં કોંગ્રેસ નેતાઓ સહિત 150 કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.
સાબરકાંઠામાં કોંગ્રેસને વધુ એક ફટકો
ખેડબ્રહ્મામાં કોંગ્રેસ નેતાઓ સહિત 150 કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. હાલ સાબરકાંઠામાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. ખેડબ્રહ્માના સંગ્રામપુરા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેનો મોટો ફટકો આવનાર ચુંટણીમાં કોંગ્રેસને લાગી શકે છે. આ સાથે જ ખેડબ્રહ્મા પાલિકાના 8 કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા છે. આ બધા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. હવે આવનાર સમયમાં જોવાનું છે કે સાબરકાંઠાના લોકો કોને પોતાનો ભાર સંભાળવા આપશે.
આ પહેલા પણ 125 કાર્યકર્તા જોડાયા હતા ભાજપમાં
આ પહેલા પણ ખેડબ્રહ્માના 125 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમાં પીપળીયા ગામે સ્વામિનારાયણ મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પૂર્વ ખેતીવાડી જિલ્લા ચેરમેન, સિંચાઈ ચેરમેન સહીતના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના સમર્થનમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ગત મે માસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કોટવાલે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ નારાજ
મહેસાણાના ઊંઝા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું હતું. ત્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાનો સાથ છોડ્યો હતો. ઊંઝામાં કોંગ્રેસના 40 કાર્યકરોએ આપ્યું રાજીનામું. જેમાંથી 15 અગ્રણીઓએ કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કોંગ્રેસ અગ્રણી જયપ્રકાશ પટેલ,દશરથ પટેલે નિવૃતી જાહેર કરી છે. આ સાથે જ મહેશ ચૌધરી સહિતના નેતાઓની કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજય પટેલ સહિત સમગ્ર ઊંઝા શહેર ટીમનું રાજીનામું આપતા ઊંજામાં ખળભળાટ મચી ગયો છે. તેઓએ પાર્ટીમાં થતી અવગણનાને કારણે રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું.