નવા સંસદ ભવનમાં અખંડ ભારતનાં નકશાને લઈને નેપાલ, ભૂટાન, પાકિસ્તાન સહિત બાંગ્લાદેશે ભારત પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું જે અંગે વિદેશમંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે.
નવા સંસદની દિવાલ પર અખંડ ભારતનો નક્શો
આ જોઈ પાડોશી દેશોએ માંગ્યું સ્પષ્ટીકરણ
વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર સાધ્યું નિશાન
નવા સંસદ ભવનમાં લાગેલા 'અખંડ ભારત'નાં નકશાને જોઈને પાડોશી દેશો સવાલ ઉઠાવી રહ્યાં છે. પાકિસ્તાન, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશે ભારત પાસે આ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું જે બાદ આજે વિદેશમંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ભારતીય સંસદમાં લગાવવામાં આવેલા અખંડ ભારતનો ફોટો અશોક સામ્રાજ્યની સીમાને દર્શાવે છે. પાકિસ્તાન આ વાતને નહીં સમજી શકે કારણ કે તેની પાસે સમજવાની શક્તિ જ નથી.
' દેશ, સંસદ અને અમારો દ્રષ્ટિકોણ બદલવાનો નથી'- જયશંકર
ગુરુવારે એક પ્રેસ કોન્ફેરેન્સમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે સંસદ ભવનમાં લાગેલા નક્શા પર નેપાળ, ભૂટાન અને પાકિસ્તાને સવાલો ઉઠાવ્યાં છે. ત્યારે તેમણે કહ્યું કે' સંસદની દિવાલ અશોક સામ્રાજ્યની સીમા દર્શાવે છે. અમે તેમને જણાવી દીધું છે અને તે સમજી ગયાં છે. પાકિસ્તાનને છોડી દો, તેની પાસે સમજવાની શક્તિ જ નથી.' આ સિવાય જયશંકરે કહ્યું કે' PoKનાં મામલામાં અમે સ્પષ્ટ છીએ. દેશ, સંસદ અને અમારો દ્રષ્ટિકોણ બદલવાનો નથી.'
'ભારતનું આ પગલું વિસ્તારવાદી વિચારધારા દર્શાવે છે'- પાક.
28 મેનાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં નવા સંસદ ભવનનું ઉદ્ગાટન કર્યું હતું. નવા સંસદ ભવનમાં દિવાલ પર એક ચિત્ર લાગેલું છે જેને 'અખંડ ભારત'નો નકશો કહેવાઈ રહ્યો છે. આ નકશામાં ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુંબિનીની સાથે-સાથે તક્ષશિલાને પણ દર્શાવવામાં આવ્યું છે. આ ચિત્રમાં પ્રાચીન નગરોનાં નામ પણ અંકિત છે. આ નક્શામાં પુરુષપુર, સૌવીર અને ઉત્તરાપ્રસ્થને પણ દેખાડવામાં આવ્યું છે જે વર્તમાનમાં પાકિસ્તાનનાં પેશાવર, સિંધ અને બલૂચિસ્તાન પ્રાંત છે. આ નકશાને લઈને પાકિસ્તાને કહ્યું હતું કે ભારતની સંસદમાં આ નકશાને જોઈને અમે ચોંકી ગયાં છે. ભારતનું આ પગલું વિસ્તારવાદી વિચારધારા દર્શાવે છે.