ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આજે એક મહત્વનું નિવેદન આપતા શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સાથેની ઓનલાઇન મિટિંગમાં કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે ભારતમાં ઘણા ગરીબો ગરીબી રેખાથી બહાર નહીં આવી શકે. નોંધનીય છે કે જય શંકરે 8 સભ્યોની શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની ઓનલાઈન બેઠકને સંબોધી હતી.
જયશંકરે કહ્યું હતું કે કોવિડ 19ને કારણે આપણે દુનિયાભરમાં માનવજાતની વિકાસ અને વૃદ્ધિને આપણી આંખોની સામે અદ્રશ્ય થતી જોઈ શકીએ છીએ. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્ર માટે આ પરિસ્થિતિનો સીધો અર્થ એ થાય છે કે ભારતના ઘણા દરિદ્રો પોતાની ગરીબીરેખામાંથી બહાર નહીં આવી શકે. કરુણતા એ હશે કે આ પરિસ્થિતિમાં તેમનો કોઈ વાંક નથી. તેમને શું ચાલી રહ્યું છે તેની સમજણ પણ નથી અને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે કોઈ સંસાધન ઉપલબ્ધ નથી.
Just finished a meeting of the Foreign Ministers of Shanghai Cooperation Organisation. Thank FM Lavrov for the initiative in organising it. Shared our views on the impact of #CoronaVirus, anniversary of ending of WWII, situation in Afghanistan and future #SCO activities. pic.twitter.com/Be8OL3Y5GM
તેમણે આગળ કહ્યું કે આ કટોકટીમાં ઉત્પાદનના નેટવર્ક, સપ્લાય ચેઇન વગેરે ખોરવાઈ ગયા છે. એવામાં SCOના સભ્ય રાષ્ટ્રો ભેગા થઈને પોતાનો આર્થિક વિકાસ ટકાવી રાખવાનો માર્ગ શોધે તે ખૂબ જરૂરી છે.
શું છે SCO?
SCOએ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દેશોનું સંગઠન હતું. આ સંગઠનમાં 2017માં ભારત અને પાકિસ્તાન જોડાયા હતા.
નોંધનીય છે કે દેશમાં માર્ચ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને લીધે દેશમાં લાખો લોકો બેરોજગાર બન્યા છે અને તેમની પાસે ખાવા માટે ખોરાક અને રહેવા માટે આવાસની પણ સગવડ નથી. ભારતનું અર્થતંત્ર છેલ્લા 6 વર્ષમાં સૌથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેવા ઇકોનોમિક સ્લોડાઉનમાં કોરોનાને કારણે હાલત વધુ કથળશે તેવો નિષ્ણાતોએ દાવો કર્યો છે.
દેશમાં બેરોજગાર વિક્રમજનક વધે તેવી સંભાવનાઓ વચ્ચે સરકારે 1.7 લાખ કરોડ ગરીબોને સીધા જ પહોંચાડવાનો દાવો કર્યો છે અને 20 લાખ કરોડના સ્વનિર્ભર પેકેજમાં 3 લાખ કરોડ રૂપિયા નાના ઉદ્યોગોને પહોંચાડવાની જાહેરાત કરી છે. આ તમામ પ્રયત્નો વચ્ચે દેશના અર્થતંત્રની હાલતમાં કેટલો સુધાર થશે તે હજુ પણ પ્રશ્નાર્થ છે.