એફ-16 વિમાનોના કાફલા માટે 45 કરોડ ડોલરના મેન્ટેનન્સ પેકેજની મંજૂરી પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરનો કટાક્ષ
પાકિસ્તાન અમેરિકાના સબંધો પર સવાલો કર્યા
F-16 વિમાનના મેન્ટેનન્સને લઈને કરી વાત
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાયના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે આ સંબંધ અમેરિકાનું હિત નથી. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર જયશંકરે કહ્યું કે, આ સંબંધો બંનેમાંથી કોઈ પણ દેશને કોઈ કામના નથી. વિદેશ મંત્રીએ આ વાત પાકિસ્તાનની એફ-16 વિમાનોના કાફલા માટે 45 કરોડ ડોલરના મેન્ટેનન્સ પેકેજની મંજૂરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું. "અમેરિકા-પાકિસ્તાનના સંબંધો ન તો પાકિસ્તાનની સારી રીતે સેવા કરે છે કે ન તો અમેરિકન હિતોની. અમેરિકાએ આ વાત પર વિચાર કરવો જોઈએ કે આ સબંધોથી શું લાભ થશે અને તેમને શુ મળશે?
અમેરિકા કે પાકિસ્તાન કોઈને ફાયદો થતો નથી
જયશંકરે કહ્યું કે, અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોથી પાકિસ્તાનને કે અમેરિકાને કોઈ ફાયદો થયો નથી. હવે અમેરિકાએ એ વાત પર વિચાર કરવો જોઈએ કે પાકિસ્તાન સાથે સંબંધ બનાવી રાખવાથી તેમને શું ફાયદો મળી રહ્યો છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત અને ફાયદાકારક હોઈ શકે છે તે વિચારવું જોઈએ.
તમે કોઈને મૂર્ખ ન બનાવી શકો
અમેરિકાએ દલીલ કરી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે એફ-16ની જાળવણી માટેના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. જયશંકરે અમેરિકાની એ દલીલનો ઉલ્લેખ કર્યો હતો કે, એફ-16નો ઉપયોગ ક્યાં અને કોની સામે થાય છે તે સૌ જાણે છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું, "તમે આવી વાતો કરીને કોઈને પણ મૂર્ખ ન બનાવી શકો."