પાડોશી દેશોની સ્થિતિ વિશેની માહિતી આપવા વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરની PM મોદી સાથે મુલાકાત
પાડોશી દેશોની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી
પાકિસ્તાન અને શ્રીલંકાની વર્તમાન સ્થિતિ અંગે પરિચિત કર્યા
વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (S Jaishankar and Narendra Modi Meeting) સાથે મુલાકાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગમાં જયશંકર પીએમને પાડોશી દેશોની સ્થિતિ વિશે માહિતી આપી રહ્યાં છે. જયશંકર મોદીને પાકિસ્તાન સરકારના સંકટ અને શ્રીલંકાની વર્તમાન સ્થિતિ અંગે જણાવી રહ્યાં છે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનું વિસર્જન
પાકિસ્તાનના કેબિનેટ સચિવાલયે મોડી રાત્રે ઈમરાન ખાનને પીએમ પદ પરથી હટાવતા નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલાં નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ પછી ઈમરાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદ ભંગ કરી દીધી. સુપ્રિમ કોર્ટે મામવેની સુઓ મોટુ નોંધ લીધી છે. ત્રણ સભ્યોની બેન્ચ તેની સુનાવણી કરશે. તેમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ ઈજાઝુલ અહેસાન અને જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર સામેલ છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 224-A (A) હેઠળ ઈમરાન ખાન કાર્યકારી વડાપ્રધાનની ભૂમિકામાં યથાવત રહેશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ નવા વિદેશમંત્રી અને નાણામંત્રીની પસંદગી કરી
બીજી તરફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ નવા વિદેશ અને નાણામંત્રીની પસંદગી કરી છે. જીએલ પેરિસને નવા વિદેશમંત્રી તરીકે અને અલી સાબરીને નવા નાણામંત્રી તરીકેના નામ આપવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં હજુ પણ ઈમરજન્સી જેવી સ્થિતિ છે. જણાવી દઈએ કે, શ્રીલંકાના 26 સભ્યોની કેબિનેટે પોતાનું રાજીનામું આપી દીધું છે પરંતુ તેમાં વડાપ્રધાન મહિંદા રાજપક્ષેનું નામ સામેલ નથી.