રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ ડોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે રશિયન સમર્થક ગ્રુપે ચેતવણી આપી છે કે, 'જો યુક્રેન નહીં માને તો ભારત-પાકિસ્તાન બોર્ડર જેવી હાલત થશે.'
રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ ડોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો
જો યુક્રેન નહીં માને તો ભારત-પાકિસ્તાન બોર્ડર જેવી હાલત થશે : રશિયન સમર્થક ગ્રુપ
આંખ મીંચીને નહીં પરંતુ ભારત અમને જરૂરથી મદદ કરે : બસુરિન
યુક્રેન પર સતત રશિયાના હુમલા શરૂ છે. રશિયન હુમલામાં કીવ, ખારકીવ, મારીયુપોલ અને બૂચા સહિતના અનેક શહેરો બરબાદ થઈ ગયા છે. ત્યારે યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે. છેલ્લાં દોઢેક મહિનાથી ચાલતા તણાવભર્યા વાતાવરણ વચ્ચે યુક્રેનના ડોનેટ્સ્કમાં રશિયન સેનાનું સમર્થન કરતા જૂથે મોટી ચેતવણી આપી છે. ડોનેટ્સ્ક પીપુલ્સ મિલિશિયા (ડીપીઆર) ના સત્તાવાર પ્રતિનિધિ એડુઆર્ડ એલેક્જેંડ્રોવિચ બસુરિને કહ્યું કે, 'જો યુક્રેન રશિયાની માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો યુક્રેનની સ્થિતિ ભારત-પાકિસ્તાન, ભારત-ચીન સરહદ જેવી થઈ જશે.'
બસુરિને કહ્યું કે, 'બધાં જાણે છે કે યુક્રેનમાં પશ્ચિમી દળો દ્વારા રશિયન સંઘને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે લોકો અટકવાના નથી, તેમનું આગામી લક્ષ્ય ભારત હશે.' પ્રવક્તાએ કહ્યું કે, 'આખી દુનિયા જાણે છે કે ભારત-પાકિસ્તાન, ભારત-ચીન બોર્ડર એવાં બે વિસ્તારો છે કે જેનો ઉકેલ વર્ષોથી મળ્યો નથી.'
તેઓએ જણાવ્યું કે, મારિયુપોલમાં રશિયન સંઘે સુરક્ષિત માનવતાવાદી કોરિડોરના બદલામાં બંદરગાહ શહેરના લોકોને શસ્ત્રો મૂકવા માટેની હાંકલ કરી હતી. આ સાથે આ વિસ્તારમાં અમે ડિમિલિટરાઇઝેશન (વિસૈન્યીકરણ) અને ડિમોનેટાઇઝેશન (વિસમુદ્રીકરણ) લાગુ કરવા માંગીએ છીએ. જો મારિયુપોલમાં આ માંગણીઓ પૂરી નહીં થાય તો સ્થિતિ ભારત-ચીન, ભારત-પાકિસ્તાન સરહદ જેવી થશે.
શા માટે ભારત ટાર્ગેટ બન્યું?
તેઓએ કહ્યું કે, ભારતમાં પણ પ્રાદેશિક, ભાષા, આસ્થા જેવી સમસ્યાઓ છે. યુક્રેનમાં જે પાયાનો પથ્થર હતો તે બધું જ ભારતમાં છે. આ જ કારણ છે કે, હું સમજું છું કે શા માટે ભારત આ સમયે યુક્રેનના ઘટનાક્રમને જોઈ રહ્યું છે. બસુરિને કહ્યું કે, જો આ સમયે રશિયા-યુક્રેન વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં ભારતે રશિયાને સમર્થન આપવું જોઈએ. ભારતને સમર્થન માટે અપીલ કરતાં જણાવ્યું કે, જો તમારી (ભારતીય) વસ્તીના પાંચ ટકા લોકો અમને મદદ કરશે તો અમે જીતીશું અને આ યુદ્ધનો અંત લાવી શકાશે.
આંખ મીંચીને નહીં પરંતુ ભારત અમને જરૂરથી મદદ કરે
તેઓએ કહ્યું કે, હું ભારતને આંખ બંધ કરીને મદદ કરવા માટે નથી કહી રહ્યો. પરંતુ ભારત અનેક રીતે મદદ કરી શકે છે. યુએન સુરક્ષા પરિષદમાં તટસ્થતાનું વલણ પણ એક પ્રકારની મદદ છે. ડોનેટ્સ્ક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, અમારો વારસો હવે ઈતિહાસ બની રહ્યો છે. આપણે કમનસીબ છીએ કારણ કે આ બધું આપણી ધરતી પર થઈ રહ્યું છે. વધુમાં કહ્યું કે, આપણે રિકવરી વિશે વિચારવાની જરૂર છે. પરંતુ રિકવરી પહેલાં0 આ યુદ્ધને કેવી રીતે જીતવું તેની પર ભાર મૂકવો પડશે. કારણ કે રિકવરી આવતી કાલ માટે છે અને જીત આજની છે.
બૂચા નરસંહારની ભારતે કરી હતી નિંદા
બુધવારે લોકસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનની સ્થિતિ (બૂચા નરસંહાર) પર જવાબ આપતા કહ્યું હતું કે, 'ભારત શાંતિના પક્ષમાં છે. અમે તમામ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. યુક્રેનના બૂચા (Bucha) શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે હેરાન છીએ અને અમે તેની સખત નિંદા કરીએ છીએ. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.'