રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં કેટલાંય દિવસથી સંઘર્ષ શરૂ છે. સતત પાંચ દિવસથી રશિયા યુક્રેન પર મિસાઇલો છોડી રહ્યું છે. એવામાં યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, રશિયાના એટેકમાં અત્યાર સુધીમાં 352 યુક્રેનના નાગરિકોના મોત થઇ ચૂક્યાં છે, જેમાં 14 બાળકો પણ સામેલ છે.
સતત પાંચ દિવસથી યુક્રેન પર રશિયાનો મિસાઇલ એટેક શરૂ
યુક્રેનના ગૃહ મંત્રાલયએ આપ્યું સૌથી મોટું નિવેદન
અત્યાર સુધીમાં 352 યુક્રેનના નાગરિકોના મોત તો 1684 લોકો ઘાયલ
મહત્વનું છે કે, રશિયાના હુમલામાં યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે જાન-માલને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. એવામાં યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા વધુમાં એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે, રશિયાના હુમલામાં 1684 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં 116 બાળકો સામેલ છે. આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવનારા સમયમાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. જો કે, રશિયાના હુમલામાં યુક્રેનના કેટલાં સૈનિકોના મોત નિપજ્યાં છે તેની જાણકારી નથી આપવામાં આવી.
રશિયાનો દાવો બિલકુલ ઉલટ
એક તરફ યુક્રેન 300થી પણ વધારે નાગરિકોના મોતના આંકડાઓ જાહેર કરી રહ્યું છે તો બીજી બાજુ રશિયાનું કહેવું છે કે, તેઓ માત્ર યુક્રેનની સૈન્ય સુવિધાઓને જ ટાર્ગેટ કરી રહ્યું છે. રશિયાએ એવો દાવો કર્યો છે કે તેઓની તરફથી જે મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યાં છે તેનાથી યુક્રેનના નાગરિકોને કોઇ પણ પ્રકારનું નુકસાન નથી થઇ રહ્યું.
રશિયાની સેનાએ રવિવારે કહ્યું કે, ''યુક્રેનમાં તેના કેટલાંક સૈનિકોને જાનહાનિ થઈ છે. રશિયાએ પહેલી વાર સ્વીકાર્યું કે, યુક્રેન પર થયેલા હુમલામાં તેના સૈનિકો માર્યા ગયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે રવિવારના જણાવ્યું હતું કે, અમારા કેટલાંક સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાંક ઘાયલ પણ થયા છે.''
UNSCમાં યુક્રેને દાવો કર્યો છે કે, 27 ફેબ્રુઆરી સુધી રશિયાના અંદાજે 4300 સૈનિકો માર્યા ગયા છે અને 200થી પણ વધારે લોકોને કેદ કરી લેવાયા છે. જો કે, રશિયાએ એ બાબતથી સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. યુક્રેને રશિયન સૈનિકોના સંબંધીઓ માટે એક હોટલાઇન પણ ઓપન કરી હતી જેનો સંપર્ક ન હોતો કરી શકાતો. પહેલાં કલાક દરમ્યાન રશિયાની માતાઓને 100થી વધારે ફોન આવ્યા છે.