રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનના યુદ્ધગ્રસ્ત ખારકિવમાં ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં મદદ કરવાની ખાતરી આપી છે.
PM મોદીએ બુધવારના મોડી રાત્રે ફરી પુતિન સાથે કરી વાતચીત
પુતિને આપી ખારકિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવાની ખાતરી
રશિયાએ યુક્રેનની સેના પર લગાવ્યો ગંભીર આરોપ
ખારકિવમાં સ્થિતિ બગડતી હોવાની સૂચનાઓ વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારના મોડી રાત્રે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી અને ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મહત્વનું છે કે, મોદી-પુતિનની મંત્રણા અંગે ભારત સરકાર દ્વારા ટૂંકી માહિતી આપવામાં આવી હતી. પરંતુ રશિયા સરકાર દ્વારા તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં યુક્રેન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેની સેના ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. રશિયન સેના કોરિડોર બનાવીને તેમને સુરક્ષિત રીતે નીકાળવાની વ્યવસ્થા કરી રહી છે. એ પહેલાં સવારના દિવસમાં ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ખારકિવથી ભારતીય વિદ્યાર્થીઓને રશિયા મોકલવા પર બંને દેશો વચ્ચે વાટાઘાટો કરવાનો સંકેત આપ્યો હતો.
ત્રણ જ દિવસમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી આ બીજી વાતચીત છે. ક્રેમલિન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પુતિને વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે રશિયન પક્ષ ભારતીય વિદ્યાર્થીઓને નજીકના રશિયન પ્રદેશમાં લઈ જવા માટે કોરિડોર દ્વારા ખારકિવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું કે, રશિયન સેના ભારતીય નાગરિકોને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે.
યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓને બહાર જતા અટકાવી રહી હોવાનો રશિયાનો આરોપ
તદુપરાંત યુક્રેનના સુરક્ષા દળો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું છે અને તેઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાનો એવો પણ આરોપ છે કે, યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓને બહાર જતા અટકાવી રહી છે. જો કે, રશિયાના આરોપ પર ભારત તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. રશિયન સરકારનો ઈરાદો સંભવતઃ ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દાનો રાજકીય રીતે ઉપયોગ કરવાનો છે કારણ કે અત્યાર સુધી ભારત સરકારનું કહેવું એમ હતું કે, પોતાના દેશનાં નાગરિકોને બહાર નીકાળવામાં મદદ યુક્રેન પાસેથી પણ મળી રહી છે.
PMએ ફરીથી કરી 'Operation Ganga' ની સમીક્ષા
મોડી રાત્રે વડાપ્રધાન મોદીએ એક વાર ફરી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 'ઓપરેશન ગંગા'ની સમીક્ષા કરી હતી. યુક્રેનમાંથી ભારતીયોને બહાર નીકાળવાની ઝુંબેશની માહિતી મેળવવા વડાપ્રધાન મોદી દરરોજ એક-બે વખત કેબિનેટના સાથીદારો સાથે સીધી જ બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અન્ય કેટલાંક અધિકારીઓ હાજર રહેતા હોય છે. નોંધનીય છે કે, બેઠકમાં વિદેશ સચિવ વડાપ્રધાનને 'ઓપરેશન ગંગા' વિશેની વિગતવાર માહિતી આપે છે.