રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. ત્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ રોકવા કેટલીક શરતો મૂકી છે. યુક્રેનની મીડિયાએ એવો દાવો કર્યો છે કે, રશિયાએ યુક્રેનની સામે 4 શરતો મૂકી છે અને કહ્યું છે કે, જો તે તમામ શરતો સ્વીકારવા તૈયાર થશે તો યુદ્ધ તુરંત બંધ કરી દેવાશે.
રશિયા-યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ છે શરૂ
રશિયાએ યુદ્ધ રાખવા મૂકી આ 4 શરતો
અત્યાર સુધીમાં 17 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યાં
શરતો શું?
1. લશ્કરી કાર્યવાહી બંધ કરો
24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય યુક્રેન પર કબજો કરવાનો નથી પરંતુ તેને બિનલશ્કરીકરણ કરવાનો છે. રશિયાએ યુક્રેન સામે આ સૈન્ય કાર્યવાહી રોકવા માટે એક શરત મૂકી છે.
2. બંધારણમાં ફેરફાર થાય
યુક્રેન અન્ય કોઈ સંગઠનમાં સામેલ થવા પર રશિયાએ હંમેશા નારાજગી વ્યક્ત કરી છે. આ યુદ્ધનું કારણ એ પણ છે કે, યુક્રેન સતત NATO માં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જ્યારે રશિયા ઈચ્છે છે કે, યુક્રેન તટસ્થ રહેવા માટે તેના બંધારણમાં ફેરફાર કરે. તમને જણાવી દઇએ કે, બંધારણીય ફેરફારથી યુક્રેન માટે NATO અને EU જેવાં સંગઠનોમાં જોડાવાનું અશક્ય બની જશે.
3. ક્રિમીઆને માન્યતા આપો
રશિયાએ ત્રીજી શરત એ મૂકી છે કે, યુક્રેન ક્રીમિયાને રશિયન ભાગ તરીકે માન્યતા આપે. ક્રીમિયા કે જે એક સમયે રશિયાનો જ ભાગ હતું. તે 1954માં તત્કાલિન સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવ દ્વારા યુક્રેનને ભેટમાં આપવામાં આવ્યું હતું. માર્ચ 2014 માં રશિયાએ આક્રમણ કર્યું અને ક્રીમિયા ફરી રશિયા સાથે જોડાઇ ગયું. યુક્રેન તેને માન્યતા નથી આપી રહ્યું. રશિયાએ કહ્યું છે કે, જો તે ક્રીમિયાને રશિયાનો જ ભાગ માનશે તો યુદ્ધ બંધ થઈ જશે.
4. ડોનેત્સ્ક-લુહાંસ્કને સ્વતંત્ર દેશ તરીકે માનો
2014 માં પૂર્વી યુક્રેનના ડોનબાસ પ્રાંતના ડોનેત્સ્ક અને લુહાંસ્કના અલગાવવાદીઓએ પોતાને અલગ સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરેલ છે. યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસો પહેલાં રશિયાએ ડોનેત્સ્ક અને લુહાંસ્કને અલગ સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપી હતી જેનો યુક્રેને વિરોધ કર્યો હતો.
યુક્રેનમાં 400 થી વધુ નાગરિકો માર્યા ગયા
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી સતત 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અત્યાર સુધીમાં 17 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યાં છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 400થી વધુ યુક્રેનના નાગરિકો પણ માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રએ અહેવાલ આપ્યો છે કે, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 406 યુક્રેનના નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 801 લોકો ઘાયલ થયા છે.