રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન મોબાઇલમાં ગોળી ઘૂસી જતા યુક્રેનના સૈનિકનો જીવ બચ્યો હોવાનો વીડિયો વાયરલ.
યુક્રેનના સૈનિકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
યુદ્ધ દરમ્યાન ગોળી મોબાઇલમાં ઘૂસી જતા સૈનિકનો જીવ બચ્યો!
વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો
આપણે સૌ કોઇએ સાંભળ્યું હશે કે એક કહેવત છે કે 'જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ.' ત્યારે હાલમાં જે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આ કહેવતને સાર્થક કરે તેવી જ એક ઘટના યુક્રેનમાં બની છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બંને તરફથી ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે. અત્યાર સુધી આ યુદ્ધનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. દરમિયાન ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું કહેવાઇ રહ્યું છે કે એક મોબાઈલ ફોનના કારણે યુક્રેનના એક સૈનિકનો જીવ બચી ગયો છે.
વીડિયો જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા
હાલમાં આ વીડિયોએ પણ ધૂમ મચાવી છે. જો કે આ વીડિયો જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકને મારવા માટે જ્યારે દુશ્મન દેશ તરફથી ગોળી છોડવામાં આવી તો તે સીધી મોબાઇલમાં ઘૂસી ગઇ જેથી આ સૈનિકનો જીવ બચી ગયો.
જણાવી દઇએ કે, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવાં અનેક વીડિયો સામે આવ્યા છે પરંતુ આ વીડિયો તો કંઇ અલગ જ પ્રકારનો છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, યુક્રેનના સૈનિકને એક રશિયન સૈનિકે ગોળી મારી હતી, પરંતુ ગોળી તેના મોબાઇલ પર વાગતા તેનો જીવ બચી ગયો હતો. 7.62 એમએમની બુલેટ તેને વાગવાને બદલે તે ફોનમાં ઘૂસી ગઇ હતી. બુલેટ ફોનની અંદર ફસાયેલી જોવા મળી હતી. મહત્વનું છે કે, યુક્રેનના સૈનિકે આ વાયરલ વીડિયોમાં પોતાનો નુકસાન થયેલા ફોનમાં ફસાયેલી બુલેટ બતાવી છે. જેમાં કહે છે કે, સ્માર્ટફોને મારો જીવ બચાવ્યો.
આ વીડિયો પણ એવાં સમયે સામે આવ્યો છે કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશવા જઈ રહ્યું છે. હજુ સુધી આ યુદ્ધને રોકવાની કોઈ શક્યતા નથી જોવા મળી રહી. વાયરલ વીડિયોમાં સૈનિક પોતાના સાથી સૈનિક સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. તે પોતાના મોબાઇલને તેને દેખાડી રહ્યો છે. જે સમયે આ વીડિયો બની રહ્યો છે તે સમયે ફાયરિંગ અને વિસ્ફોટનો પણ અવાજ સંભળાય છે. જણાવી દઇએ કે, રશિયાએ 24મી ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. રશિયાએ સતત કહી રહ્યું છે કે, તે યુક્રેનમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે જ્યારે નાગરિકોને નિશાન નથી બનાવવામાં આવી રહ્યાં. પરંતુ પશ્ચિમી દેશોને મોસ્કો પર વિશ્વાસ નથી.
કિવના પ્રાદેશિક પોલીસ વડા એન્ડ્રી નેબિટોવે જણાવ્યું છે કે, રશિયાના હુમલામાં પ્રદેશના એક હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે. ત્યારે ઝેલેન્સ્કીએ સાથી દેશોને શસ્ત્રો પૂરા પાડવા માટે આહવાન કરતાં કહ્યું છે કે, એ વ્યાજબી નથી કે અમે હજુ પણ પૂછવા માટે મજબૂર થઇ રહ્યાં છીએ કે સહયોગી દેશ આટલાં વર્ષોથી શું સંગ્રહ કરી રહ્યું હતું.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનને યુદ્ધ અપરાધ માટે જવાબદાર ગણાવ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયન સેના આ યુદ્ધમાં ખુદને ઈતિહાસની સૌથી બર્બર અને અમાનવીય સેના તરીકે નોંધણી કરાવશે. તેઓએ કહ્યું કે નાગરિકોની ઇરાદાપૂર્વક હત્યા, નાગરિકોના રહેણાંક સંકુલ અને માળખાકીય સુવિધાઓનો વિનાશ, તમામ પ્રકારના પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ રશિયન સૈન્યની નિર્દયતાની સાક્ષી આપે છે. બીજી તરફ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનને યુદ્ધ અપરાધ માટે જવાબદાર ગણાવ્યા છે.
જર્મન ચાન્સેલરે યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો ચાલુ રાખવાની જાહેરાત કરી અને એમ પણ કહ્યું કે, જર્મનીની શસ્ત્ર સપ્લાય ક્ષમતા હવે લગભગ ખતમ થઈ ગઈ છે. અમારી સરકાર એ માટે હથિયાર ઉત્પાદકો સાથે મળીને કામ કરશે. તેમણે એવો પણ આગ્રહ કર્યો છે કે, યુક્રેનનાં સૈનિકોને એ હથિયાર આપવામાં આવે કે જેનો ઉપયોગ તેઓ કરતા રહ્યાં છે. જર્મન ચાન્સેલરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, NATO યુક્રેન યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ નહીં કરે.
યુક્રેન મારિન્કા શહેર પર કબજો કર્યાનો દાવો
યુક્રેને એવો દાવો કર્યો છે કે, ડોનેત્સ્કથી 10 કિલોમીટર દૂર આવેલા મારિન્કા શહેર પર તેની સેનાએ ફરીથી કબજો કરી લીધો છે. માર્ચના મધ્યમાં રશિયન સેનાએ મારિન્કા પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. યુક્રેનના મીડિયાએ એવો દાવો કર્યો છે કે, રશિયા હવે 2014 ની તર્જ પર દક્ષિણ યુક્રેનમાં ખેરસોન અને માયકોલેવમાં સ્યુડો લોકમત યોજવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના મીડિયાના જણાવ્યાં અનુસાર, રશિયન સેનાએ 18 એપ્રિલની આખી રાત દરમિયાન ખેરસોનને સ્નિહુરિવકા અને આસપાસના મેદાન સાથે જોડતા હાઇવેનું ખોદકામ કર્યું હતું.