રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ડાયમંડ ઉદ્યોગ મુકાયો ચિંતામાં, બેંકોએ રશિયા સાથેના વ્યવહારો સ્થગિત કરી દેતા પેમેન્ટ અટક્યુ
યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર
રશિયાની અલરોસા કંપની પર મૂકાયો છે પ્રતિબંધ
સુરતમાં ઉદ્યોગપતિઓ ચિંતામાં
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળી છે. ત્યારબાદ અમેરિકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત સહિત ભારતના હીરા ઉદ્યોગમાં કાચા હીરાની અછત સર્જાવાના એંધાણ વર્તાયા છે. જેને કારણે ભાવ પણ આસમાને પહોંચે તેવી શક્યતા છે. બીજી તરફ કાચા હીરાને કારણે તૈયાર થયેલા હીરાના ભાવ પણ આસમાને પહોંચશે જેથી હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે.
અલરોસા કંપની શું છે ?
રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની છે
સુરત, ગુજરાત સહિત વિશ્વમાં કાચા હીરા સપ્લાય કરે છે
અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે
સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ છે
ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા
યુક્રેન પર રશિયાએ કરેલા થયેલા હુમલાને કારણે અત્યારે મોટા ભાગના પેમેન્ટ અટકી પડ્યા છે કારણ કે મોટાભાગની કંપનીઓએ રશિયા કંપનીના બેંકિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હીરા બેંકોમાંથી પેમેન્ટ બંધ રહેતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે.
લાખો લોકોને સીધી અથવા આડકતરી રીતે અસર
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા અનુસાર 15લાખ કરતા પણ વધારે લોકોને સીધી અને આડકતરી રીતે અસર પહોંચે તેમ છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો તેની સીધી અસર ગુજરાતના અર્થતંત્ર પર થશે.ગુજરાત સરકારને અપીલ કરી છે કે સરકારે દરમિયાનગીરી કરીને હીરા ઉધોગને ક્રાઇસીસમાંથી ઉગારવા માટે તાકીદના પગલાં ભરવા જોઇએ.
રફના ભાવ વધશે
ભારતમાં 30 ટકા રફ અલરોઝા કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે. અલરોઝા કંપનીની રફ બંધ થવાથી 30 ટકા શોર્ટ સપ્લાય થશે, ભાવ વધશે.
હીરાના યુનિટો બંધ થશે
રફના ભાવમાં વધારો થવાથી હોલ્ડિંગ કેપેસિટી છે તેવા યુનિટો શરૂ રહેશે. નાના યુનિટોમાં કામ ઘટશે અને અમુક બંધ પણ થશે.
નફો ઘટશે
રફના ભાવમાં વધારો થવાથી હીરા વેપારીઓને રફના દર ઊંચા ચૂકવવા પડશે. તૈયાર હીરાના ભાવ નહીં વધે તો નફો ઓછો થશે.
નોકરીઓ ગુમાવવાનો વારો આવશે
નાના યુનિટો બંધ થવાના કારણે ઘણા રત્નકલાકારોની નોકરીઓ જશે. કેટલાક યુનિટમાં રત્નકલાકારોના કામ કરવાના કલાકો ઘટશે.