યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલ જંગ (Russia Ukraine Crisis) દિવસે ને દિવસે વધારે ને વધારે ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યાં છે અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યાં છે. ત્યારે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' અભિયાન ચલાવી રહી છે.
યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા 'ઓપરેશન ગંગા' પૂરજોશમાં
એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ દ્વારા આજે 249 વિદ્યાર્થીઓનું દિલ્હીમાં આગમન
અત્યાર સુધીમાં 1156 ભારતીયોની સુરક્ષિત રીતે વતન વાપસી
સ્થિતિ એટલી ગંભીર થઇ રહી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે. કિવથી અત્યાર સુધીમાં 1100થી વધુ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. જો કે હજુ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં ફસાયેલા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગઇ છે. યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને બુકારેસ્ટ (રોમાનિયા) થઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 1942) સોમવારના સવારે 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચી હતી.
The fifth Operation Ganga flight, carrying 249 Indian nationals stranded in Ukraine, departed from Bucharest (Romania) reaches Delhi airport pic.twitter.com/yKhrI5fmwm
'ઓપરેશન ગંગા' હેઠળ બુકારેસ્ટથી 219 નાગરિકોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારના (26 ફેબ્રુઆરી) મુંબઈમાં ઉતરી હતી. જ્યારે 250 ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી બીજી ફ્લાઇટ રવિવારના રાત્રે (27 ફેબ્રુઆરી) લગભગ 2:45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. જ્યારે 240 લોકોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (27 ફેબ્રુઆરી) સવારના 9:20 વાગ્યે દિલ્હીમાં પ્રસ્થાન કરી ચૂકી.
1156 ભારતીયોની સુરક્ષિત રીતે વતન વાપસી
બુકારેસ્ટથી ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીની ફ્લાઇટ (ચોથી) 198 ભારતીય નાગરિકો સાથે રવિવારના સાંજે 5:35 વાગ્યે રાજધાની દિલ્હી પહોંચી હતી. યુક્રેનમાં હજુ પણ 13,000 થી વધુ ભારતીય નાગરિકો ફસાયેલા છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સોમવારના સવારે પાંચમી ફ્લાઈટ ભારતમાં લેન્ડ થતાની સાથે જ યુક્રેનથી 'ઓપરેશન ગંગા' હેઠળ બચાવાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 1156 થઈ ગઈ છે.