પૂર્વ CM રૂપાણીએ મોટો ખુલાસો કર્યો છે રાજીનામું આપતી વખતે ભવિષ્યના આયોજનને લઈને પણ વાત કરી છે.
વિજય રૂપાણીનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું
ભાજપ સંગઠનમાં કામ કરીશ : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
રાષ્ટ્રીય લેવલે મોટી જવાબદારી સોંપાઈ શકવાના એંધાણ
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ છે કે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પરથી રાજીનામું આપી દીધું છે. કેટલાય સમયથી રૂપાણીના રાજીનામાની વાત વહેતી થઈ હતી. ભાજપ સંગઠન અને સરકાર સતત આ વાતને પાયા વિહોણી કહી રહ્યા હતા. વિજય રૂપાણીના 5 વર્ષનો ગુજરાતનો કાર્યકાળ હમણાં જ પૂરો થયો છે અને 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપએ મોટો દાવ ખેલ્યો છે. રાજીનામુ આપતી વખતે સીએમ રૂપાણીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તે આવનાર સમયમાં ભાજપ માટે શું કરશે તેમની ભૂમિકા શું રહેશે ?
ભાજપ સંગઠનમાં કામ કરીશ : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે તે આગળના સમયમાં પાર્ટીમાં સંગઠનમાં કામ કરાવાની ઈચ્છા ધરાવે છે. નવી ઉર્જા સાથે ભાજપના સંગઠનમાં વધુ મજબૂત કરવાની હામ સાથે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટી દ્વારા જ્યારે અને જેવી જવાબદારી મળશે તેની સપૂર્ણ દાયિત્વ સાથે નિષ્ઠાથી આગળ કામ કરશે. તેમને પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ માર્ગદર્શનમાં કામ કરવાની વાત કહી હતી. ત્યારે ટુંક સમયમાં વિજય રૂપાણીને ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી મળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. વિજય રૂપાણી પહેલાથી જ ભાજપ સંગઠનમાં કામ કરતાં આવ્યા છે ત્યારે હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં બાદ આગળ પણ ભાજપ વધુ મહત્વની જવાબદારી આપી રાષ્ટ્રીય લેવલે તેમના અનુભવનો ઉપયોગ કરી શકે છે.
પાર્ટી નક્કી કરશે મુખ્યમંત્રી : રૂપાણી
વિજય રૂપાણી રાજીનામાં બાદ કહ્યું હતું કે ભાજપમાં વિકાસ જ મુખ્ય ચહેરો છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં વિકાસનાં કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમણે કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.
વિજય રૂપાણીની રાજકીય સફર
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે