એક તરફ દેશમાં કોરનાને લઇને લૉકડાઉનનો માહોલ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 એપ્રિલથી કેટલાક સ્થળોએ કેટલીક બાબતો અંગેની છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક ખાસ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ન.પા અને મનપા વિસ્તારના ઔદ્યોગિક એકમો શરૂ નહીં થાય
CM રૂપાણીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમો ના કામદારોને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે.
શહેરી વિસ્તારમાં બાંધકામ પ્રોજેક્ટ શરતોને આધિન શરૂ રખાશે
નોંધનીય છે કે, 20 એપ્રિલ બાદ શહેરી વિસ્તારોમાં બાંધકામ પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની છે ત્યારે બાંધકામ સાઈટ પર જ શ્રમિકોને રહેવાની શરતે જ જે-તે પ્રોજેક્ટસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે કામના સ્થળે ફરજીયાત સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.
સરકારી ગાઈડલાઈનનો પણ કડક અમલ કરવો ફરજીયાત
તો આ સાથે જ સરકારી ગાઈડલાઈનનો પણ કડક અમલ કરવાનો રહેશે. આ સાથે જ જો કોઇ પ્રોજેક્ટ પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો યોગ્ય અને કડક રીતે અમલ નહીં થાય તો તેના સંચાલકો સામે કડક પગલા લેવામાં આવશે.