નિયમોને નેવે મુક્તા નેતાઓ સામે મુખ્યમંત્રી રૂપાણી બોલતા અચકાતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટ ખુદ કહી ચૂકી છે કે, પ્રજા હોય કે નેતા સૌકોઈ માટે કાયદો સમાન છે. નેતાઓએ કાયદાના લીરા ઉડાવ્યા છે તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ રાજ્યની સરકાર નેતાઓથી ડરે છે. પોતાના જ નેતાઓ સામે બોલતા અચકાઈ છે. જાણો મુખ્યમંત્રીએ આ અંગે શું કહ્યું હતું...
રાજ્યની સત્તાધારી સરકાર કેમ નેતાઓ સામે મૌન ધારણ કરીને બેઠી છે?
શું માત્ર જનતાને લૂંટવા માટે દંડનો નિયમ બનાવ્યો છે?
આજ સુધીમાં ક્યાં ભાજપના અને કોંગ્રેસના નેતાને દંડ ફટકાર્યો છે?
સામાજિક અંતર અને માસ્કના નિયમો મુદ્દે CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે તમામ લોકોએ સામાજિક અંતર રાખવું અને માસ્ક પહેરવું. નેતાઓએ નિયમો તો પાળવા જ પડશે. સરકારી નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી નથી થતી એવું નથી. નેતાઓએ પણ પ્રજામાં ખોટો મેસેજ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
ગુજરાતની જનતાએ હકીકત જોઈ અને જાણી લીધી છે. નેતાઓએ જો કાંઈ કર્યું છે તો તે માત્રને માત્ર ધજાગરા જ કર્યા છે. સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક લોકોમાં કોરોના પણ ફેલાવ્યો છે. નિયમોને નેવે મુકી સભાઓ પણ યોજી છે. ઘોડા પર ચઢી ખુબ નાચ્યા પણ છે. પરંતુ હજૂ સુધી મુખ્યમંત્રીએ એક નેતાને દંડ નથી કરી શક્યા.
ભાજપના નેતાઓએ કોરોના વચ્ચે મોટી-મોટી રેલીઓ યોજી હતી. તો રૂપાણીના રાજમાં વિપક્ષના નેતાઓએ પણ કાર્યક્રમો યોજ્યા હતા. રૂપાણીના જ રાજમાં તમારા નેતા અને જેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં તે વ્યક્તિ પણ ઘોડા પર ડિસ્કો-ડાન્સ કરતી જોવા મળી હતી. રૂપાણી સરકારે આમાંથી કેટલા લોકોને દંડ ફટકાર્યો છે? પ્રશાસને આમાંથી કેટલા નેતાઓ સામે કાર્યવાહી કરી છે?
કરોડો રૂપિયામાં કેટલા નેતાને દંડ થયો ?
અમે અહીં ન તો મુખ્યમંત્રીને નીચા બતાવવા માગીએ છીએ કે, ન તો તેમનું અપમાન કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ અમે એક સાચી હકીકત જણાવી રહ્યા છીએ. રૂપાણી સાહેબને તો ખબર હશે કે, ક્યા શહેરમાં જનતા પાસેથી નિયમોના નામે લૂંટ થઈ છે? મદાવાદમાં સૌથી વધુ 8 કરોડ 39 લાખનો પોલીસે દંડ વસુલ્યો છે. રાજકોટમાં 6 કરોડ 50 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. સુરતમાં 4 કરોડ 92 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે વડોદરામાં 84 લાખ 87 હજારનો માત્ર માસ્કનો દંડ વસુલવામાં આવ્યો છે. આ કરોડો રૂપિયામાં તમારા કેટલા નેતાને દંડ થયો ? આજ સુધી ન તો એકપણ ભાજપના નેતાને દંડાતા જોયા કે, ન તો એકપણ કોંગ્રેસના નેતાને દંડાતા જોયા છે. છતાં મુખ્યમંત્રી મૌન છે.
નેતાઓ કાયદાનું પાલન કેમ નથી કરતા?
સવાલ અહીં એ થાય છે કે, રાજ્યની સત્તાધારી સરકાર કેમ નેતાઓ સામે મૌન ધારણ કરીને બેઠી છે? શું માત્ર જનતાને લૂંટવા માટે દંડનો નિયમ બનાવ્યો છે? કાયદો બનાવો અને કાયદાનું પાલન ફરજિયાત કરવાનું હોય તો નેતાઓ કેમ પાલન નથી કરતા? આજ સુધીમાં ક્યાં ભાજપના અને કોંગ્રેસના નેતાને દંડ ફટકાર્યો છે? હજારો લોકોના જમાવડા ભેગા કરી રેલીઓ યોજી તેવા ક્યા નેતા સામે કાયદાકીય પગલા ભર્યા છે? જે પોલીસને જનતાને લૂંટવા પાવતીઓ પકડાવી તે પોલીસને નેતાઓ પાસેથી દંડ લેતા કેમ ડર લાગે છે? આજે મુખ્યમંત્રી ભલે બોલતા અચકાઈ રહ્યા હોય, પરંતુ હવે જનતા બોલશે. હવે જનતા તમને પૂછશે કે, અમારી પાસેથી લૂંટો છો તે તમારા કેટલા નેતાને અત્યાર સુધીમાં દંડ આપ્યો તે કહો. પેલા તેમના પર ગુનો દાખલ કરો. પહેલા નેતાઓ પાસેથી દંડ વસુલો પછી આવજો દંડ લેવા. VTV પણ જનતાની સાથે છે. કારણ કે, નિયમ બનાવો છો સમાન હોવો જોઈએ તે પછી નેતા હોય કે પ્રજા.