PM મોદીએ વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યુ છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ PM મોદીએ મીડિયા સમક્ષ થોડી મિનિટો માટે સંબોધન કર્યુ હતું અને વારાણસીથી નીકળી ગયા હતાં. પરંતુ નામાંકન દાખલ કર્યા પહેલાં એવી ખબર ફેલાઈ હતી કે જેનાથી સૌ કોઈ હેરાન રહી ગયું હતું. ખબર એવી ઉડી હતી કે પીએમ મોદી પ્રેસ કૉન્ફરન્સ કરવા જઈ રહ્યાં છે. પહેલાં સોશ્યલ મીડિયા પર એક પ્રેસ રિલીઝ વાયરલ થઈ જેમાં પીએમ મોદીનું સંપૂર્ણ શૅડ્યુલ આપવામાં આવ્યું હતું અને પ્રેસ કૉન્ફરન્સનો સમય અને જગ્યા પણ બતાવી હતી. જો કે ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપીને ખુલાસો પણ કર્યો હતો કે આ માત્ર અફવા છે. આ જ મુદ્દે વાયરલ થયેલી કથિક પ્રેસ રિલીઝને લઈને કોંગ્રેસે પણ ટ્વિટર દ્વારા પ્રતિક્રિયા આપતા "Tum se na ho payega" વાક્ય વાયરલ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ક્યારેય પ્રેસ કૉન્ફરન્સ નથી કરતા, તેમણે છેલ્લાં પાંચ વર્ષોના પોતાના કાર્યકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. પરંતુ સોશ્યલ મીડિયા પર કથિત પ્રેસ રિલીઝ વાયરલ થયા બાદ તેની અટકળો વધી ગઈ તી. આ ખબર ઝડપથી ફેલાવવા લાગી પરંતુ આખરે આવું કંઈ પણ બન્યું નહીં અને મીડિયાને નિરાશા મળી. પીએમ મોદીએ ત્યાં ઊભેલા પત્રકારોને માત્ર ધન્યવાદ કહ્યું. તેમણે કહ્યું કે "તમે સૌ કોઈ 24 કલાકથી અહીં છો અને મારા પહેલાં તમે લોકો અહીં પહોંચી ગયા હતા, જેનો હું આભાર માનું છું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીની બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં ભાજપના બૂથ કાર્યકરોને એક હોટલમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે બનારસ-કાશીને જીતવાનું કામ તો ગઈ કાલે જ પૂરું થઈ ગયું. હવે માત્ર પોલિંગ બૂથ જીતવાનું બાકી છે. મોદી હારે કે જીતે તે ગંગામૈયા જોઈ રહી છે, પરંતુ મારા બૂથના કાર્યકરો હારવા જોઈએ નહીં. આપણું લક્ષ્ય પોલિંગ બૂથ જીતવાનું જ હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ આપણે આપણા મતદાનના તમામ રેકોર્ડ બ્રેક કરવાના છે.
ભાજપના બૂથ કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કાલે હું જે દૃશ્ય જોઈ રહ્યો હતો તેમાં તમારા પરસેવાની મહેક આવી રહી હતી. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલ પર પોસ્ટર લગાવવાનો અનુભવ છે. તેમણે જણાવ્યું હતું કે મેં પાંચ વર્ષ પાર્ટીને પૂરતો સમય આપ્યો છે. પાંચ વર્ષ મેં સરકાર ચલાવી છે અને ઈમાનદારીથી ચલાવી છે.
કાર્યકર્તા હોવાના નાતે હું મારા કામ અને કર્તવ્યને લઈ અત્યંત સજાગ પણ છું. આ વખતે તો હું નહીં, પરંતુ દેશની જનતા ચૂંટણી લડી રહી છે. દેશની જનતાએ પોતાનું મન મનાવી લીધું છે. પહેલી વાર લોકોએ જોયું કે સરદાર ચાલે પણ છે. મોદી કેટલા વોટથી જીતે છે તેનું મહત્ત્વ નથી. હું ગુજરાતમાં ઈચ્છતાં હતો કે પુરુષોની તુલનાએ મહિલાઓનું મતદાન ૫ ટકા વધુ થવું જોઈએ. આ વખતે વારાણસીમાં આવું જ થવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં એક કાર્યકર તરીકે પાર્ટીએ મારી પાસે જેટલો સમય માગ્યો છે તે માટે મેં ના પાડી નથી. કાર્યકારી સમિતિની બેઠકમાં પણ હું એક કાર્યકર તરીકે પૂરો સમય બેઠો હતો. તેમણે જણાવ્યું હતું કે પીએમ, સાંસદ અને કાર્યકરોના નેતા પાંચ વર્ષ સુધી સજાગ રહ્યા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે આપણે એક ગોવાળ જેવા છીએ અને ભારતમાતાની સેવા કરી રહ્યા છે.