સુરતમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર લોકો પર નજર રાખવા માટે શિક્ષકો મૂકવામાં આવ્યા છે.
સુરતમાં કઈ રીતે કાબૂમાં આવશે કોરોના?
માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં અવરજવર ઉપર પ્રતિબંધ
બિનજરૂરી અવરજવર કરતા લોકો ઉપર પોલીસ કેસ કરાશે
સુરતમાં કોરોનાને કાબુમાં કરવા મનપાનું કડક વલણ
દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં પહેલી લહેર કરતાં પણ વધારે કેસ સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસ રેકોર્ડ તોડી રહ્યો છે અને એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સુરતમાં પરિસ્થિતિ દિવસને દિવસે બેકાબૂ બનતી જઈ રહી છે ત્યારે મહાપાલિકાએ હવે માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે કડક નિયમો બનાવ્યા છે.
વિસ્તારમાં અવર જવર કરતા લોકોની માહિતી માટે શિક્ષકો મુકાયા
સુરતમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં અવરજવર ઉપર પ્રતિબંધ મૂકાયો અને દેખરેખ રાખવા માટે શિક્ષકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટની જવાબદારી સોંપાઈ છે. આવા વિસ્તારમાં અવરજવર કરતા લોકોની માહિતી શિક્ષકો આપશે અને બિનજરૂરી અવરજવર કરતા લોકો ઉપર પોલીસ કેસ કરવામાં આવશે.
કોરોના વાયરસ કેસ અપડેટ (8 એપ્રિલ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગઇકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે.