પવિત્ર તીર્થધામ કેદારનાથમાં યાત્રીઓનો ધસારો વધવાના કારણે આ વર્ષે મંદિરની આવકમાં પણ જોરદાર વધારો થયો છે. બાબાના ખજાનામાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુની રકમ પહોંચી છે, જે વર્ષ 2018માં થયેલી આવક કરતા બે કરોડ રૂપિયા વધારે છે.
કેદારનાથમાં યાત્રીઓનો ઘસારો
બાબાના ખજાનામાં જમા થયાં 13 કરોડ
હજુ પણ મંદિરના કપાટ બંધ થવામાં લગભગ બે મહિનાનો સમય બાકી છે. મંદિર કમિટીના કર્મચારીઓ સારી કમાણીથી ખૂબ જ ખુશ છે અને હવે મંદિરના બ્યુટીફિકેશન અને નવા અતિથિગૃહ બનાવવા તેમજ કર્મચારીઓના પગાર અને ભથ્થા વધારવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
વર્ષ 2013ની કેદારનાથ દુર્ઘટના પછી યાત્રીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાને કારણે મંદિરની આવક લગભગ નગણ્ય બની ગઈ હતી. આને કારણે કેદારપુરીનું અર્થતંત્ર પણ સંપૂર્ણ રીતે હચમચી ગયું હતું. એક સમયે તો મંદિરના સ્ટાફ-અધિકારીઓનો પગાર પણ કાઢવો મુશ્કેલ બની ગયો હતો.
આવી સ્થિતિમાં કેદારનાથ ધામ સાથે સંકળાયેલા કર્મચારીઓને બદ્રીનાથ ધામની આવકમાંથી પગાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં મંદિરની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. એ વર્ષે બાબાની તિજોરીમાં રૂપિયા નવ કરોડની રકમ જમા થઈ હતી. વર્ષ 2018માં આવકનો આંકડો 11.5 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. તેમાં હેલી કંપનીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ વર્ષે અત્યાર સુધીમાં ફક્ત હેલી સેવાઓથી જ મંદિરને છ કરોડ રૂપિયાની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ હેલીકોપ્ટર સેવાઓથી આવતા મુસાફરોને વીઆઈપી દર્શન કરાવે છે.
તેના બદલામાં હેલી કંપનીઓ 2100 રૂપિયાની ડિપોઝિટ મંદિર સમિતિ પાસે જમા કરાવે છે. કેદારનાથ ધામની આવકમાં વધારો થવાથી મંદિર સમિતિ હવે તૃતીય કેદાર ભગવાન તુંગનાથ અને ભગવાન શીતકાલ પડાવ સ્થળ મક્કૂમઠમાં યાત્રીઓ માટે વિશ્રામગૃહ બનાવવા જઈ રહી છે. આ ઉપરાંત મંદિર સમિતિ હેઠળના આયુર્વેદિક વિદ્યાલય અને સંસ્કૃત વિદ્યાલયના સંચાલનમાં પણ હવે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે.