ગુજરાતની સૌથી મોટી અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં અવ્યવસ્થા અને અંધાધૂ્ંધીથી શહેરીજનો તોબા પોકારી રહ્યા છે. કચેરીમાં હજારો વાહનચાલકો વિવિધ કામગીરી માટે આવતા હોવા છતાં સુવિધાના નામે મીડું હોવાથી સેંકડો લોકો આ કાળઝાળ ગરમીમાં વગર વાંકે ત્રાસ ભોગવી રહ્યા છે.
આ કચેરીનું વાતાવરણ તદ્દન અંધાધૂંધી ભરેલું છે, જ્યાં કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. સત્તાવાળાઓના સબસલામતના દાવા વચ્ચે ઓનલાઈન સિસ્ટમના ખુલ્લેઆમ ધજાગરા ઊડે છે. લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, એમાંય ડચકાં ખાતી સર્વર ડાઉનની સમસ્યાના કારણે જે તે કાઉન્ટર સુધી પહોંચી ગયાનો હાશકારો અનુભવતા અરજદારોને ઊભા ન રહી શકાતું હોવાના કારણે મજબૂરીથી નીચે જમીન પર બેસી જવું પડે તેવી કફોડી હાલત છે. એસી ઓફિસમાં બેસીને કામ કરતા સત્તાધીશોને સામાન્ય માણસની આ પીડાનો ક્યારે ખ્યાલ આવશે તે ચર્ચાનો વિષય છે.
સુભાષબ્રિજ આરટીઓનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે બાજુમાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગમાં આરટીઓ કચેરી ખસેડાઇ છે, જેનું મહિને ૧૩ લાખ જેટલું તગડું ભાડું ચૂકવાતું હોવા છતાં સુવિધાના નામે મીડું છે. ચિક્કાર લાઇનોની વચ્ચે પંખા કે એસીની અપૂરતી સુવિધાના કારણે કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ્ પોકારી જાય છે. વેઇટિંગરૂમના અભાવે લોકો ફરિજયાત ઊભા રહેવા મજબૂર બનવાના કારણે જમીન પર બેસી જાય છે.
હવાની અપૂરતી અવરજવરના કારણે વૃદ્ધો સફોકેશન-ગૂંગળામણની ફરિયાદ કરી રહ્યા છે. દૂર દૂરથી આવતા વાહનચાલકોને આરટીઓમાં એટલી ગંદકી જોવા મળશે. ખાસ કરીને ટોઇલેટ્સ અને પીવાના પાણીની જગ્યા પર એટલી ગંદકી હોવા છતાં કચેરીના સત્તાધીશોનું સાફસફાઈના મુદ્દે ધ્યાન જતું નથી એટલું જ નહીં, કચેરીમાં જ્યાં સૌથી વધુ ભીડ હોય છે ત્યાં પંખાની પણ વ્યવસ્થા ન હોવાથી હાલ કચેરીમાં આવતા વાહનચાલકો ગરમીમાં રીતસરના શેકાઇ રહ્યા છે. જે બેસવાની પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે તે પણ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી કલાકો સુધી ઊભા રહેવું પડે છે.
આરટીઓમાં પ્રવેશ માટે મુખ્ય ગેટ પર મેટલ ડિટેક્ટરની પણ સુવિધા ન હોવાથી કોઇ પણ અજાણી વ્યક્તિ બિનધાસ્ત પ્રવેશ કરી શકે છે, કચેરીનું કેમ્પસ જાણે શાકમાર્કેટ હોય તેમ ગલ્લાવાળા, સિંગ-ચણાવાળાઓ તેમજ ચા-નાસ્તાની લારીઓનો જમાવડો હોય છે.
આમ, આરટીઓ કચેરીમાં સુવિધા અને સુરક્ષાના નામે લીરેલીરા ઊડ્યા છે. એક તરફ રાજ્ય સરકાર આરટીઓને વિવિધ સુવિધાઓથી સજ્જ- હાઇટેક બનાવવાની વાતો કરે છે તો બીજી તરફ જ્યાં હજારો અરજદારોની અવરજવર રહેતી આરટીઓ કચેરીમાં પ્રાથમિક સુવિધાઓના સદંતર અભાવથી સરકારની વાતો માત્ર કાગળ પર જ રહી છે.
આરટીઓ કચેરીમાં રોજના૮૦૦ જેટલા અરજદાર લાઇસન્સ રિન્યૂ માટે આવે છે. આ જ રૂમમાં ૭૦૦ જેટલા લોકો કાચા લાઇસન્સ માટે આવે છે. લાઇસન્સ બેકલોગમાં અંદાજે રપ૦ લોકો આવે છે તો પણ તેમની વચ્ચે માત્ર એક જ પંખો છે. અરજદારોએ અપૂરતા પંખા અને પરસેવે રેબઝેબ થવાની તૈયારી સાથે કચેરીમાં લાઇસન્સ બેકલોગ કે અન્ય વિભાગમાં સાંકડી જગ્યામા