સુરતના કતારગામ વિસ્તારમાં 5 ટોયલેટ બ્લોક બનાવવા પાછળ 1 કરોડ 37 લાખ ખર્ચ્યા હોવાની માહિતી સામે આવી, મનપાનું વધુ એક કૌભાંડનો પર્દાફાશ
સુરત મનપાનું વધુ એક કૌભાંડ આવ્યું સામે
RTIમાં માંગેલી વિગત મુજબ કરોડો રૂપિયાનું કૌભાંડ
યુરીનલ બ્લોક બનાવામાં થયો છે ભ્રષ્ટાચાર
વિકાસથી ઉજળી દેખાતી સુરત નગરીમાં ભ્રષ્ટાચારીઓનો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાએ ટોયલેટ બનાવવામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. માન્યામાં ન આવે એવી મોટી રકમથી ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. સુરતના RTI એક્ટિવિસ્ટે માહિતી માગતા ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં 5 ટોયલેટ બ્લોક બનાવવા પાછળ 1 કરોડ 37 લાખ ખર્ચ્યા હોવાની માહિતી સામે આવી છે. RTI એક્ટિવિસ્ટે કંટ્રક્શન સાથે સંકળાયેલા નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય લીધો હતો. નિષ્ણાતોના મતે એક ટોયલેટ બ્લોક જે 5 લાખમાં બને તેની પાછળ 25 લાખથી વધુ ખર્ચ્યા છે.
વાસ્તવમાં જે સ્ટ્રક્ચર 5 લાખમાં બને તેની પાછળ 5 ગણાં પૈસા વપરાયા છે.
સમગ્ર કૌભાંડમાં ટોયલેટ બ્લોકની વાસ્તવિક કિંમત પછીના પૈસા ક્યાં ગયા તે મોટો સવાલ છે. ટોયલેટ બ્લોક બહારથી ઝગમગાતા દેખાય તે માટે કલરકામનો મોટો ખર્ચ કરાયો છે. પણ અંદરથી તપાસ કરતા સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ આવી હતી. તૂટેલા નળ, નબળું લાઈટ ફિટિંગ અને દિવાલો પણ તૂટી ગયેલી નજરે પડ્યા હતા. મહાનગરપાલિકાએ પોતે 6 થી 8 લાખમાં અગાઉ ટોયલેટ બ્લોક બનાવ્યા. જ્યારે તાજેતરમાં બનાવાયેલા ટોયલેટ બ્લોકમાં કરોડોનો ભ્રષ્ટાચાર નજરે આવ્યો છે.