ગુજરાત બહાર ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર, વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ અથવા RT-PCR ટેસ્ટના રિપોર્ટ વગર અન્ય રાજ્યોનાં ફરવા લાયક સ્થળ પર એન્ટ્રી નહીં
વેકેશન માટે અન્ય રાજ્યમાં જતા ગુજરાતીઓ માટે સમાચાર
RT-PCR નેગેટિવ રિપોર્ટ અથવા 2 વેક્સિન ડોઝનું સર્ટિફિકેટ જરૂરી
સર્ટિફિકેટ અથવા 72 કલાક અગાઉના રિપોર્ટ વગર એન્ટ્રી નહીં
કોરોનાની બીજી લહર શાંત પડી છે ત્યારે ગુજરાતીઓએ વેકેશન મનાવવા માટે બહાર જવા માટેનો પ્લાન કરી નાખ્યો છે. પરંતુ ફરવાનો પ્લાન તે જ અમદાવાદીઓનો સફળ થશે જેમની પાસે 72 કલાક પહેલાં કરાવેલો RT-PCR ટેસ્ટ હશે. અથવા તો વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ હશે. ટેસ્ટ અને સર્ટિફિકેટ નહીં હોય તો, અન્ય રાજ્યોનાં ફરવા લાયક સ્થળ પર એન્ટ્રી નહીં મળે. જો કોઇ વ્યકિત કોરોના રિપોર્ટ અને વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ લીધા વગર જશે તો તેમને નિરાશ થઇને પરત અમદાવાદ આવવું પડશે.
કોરોનાની પહેલી લહેર જેટલી ખતરનાક હતી તેનાં કરતાં પણ બીજી લહેર વધુ ઘાતક અને ખતરનાક સાબિત થઇ છે. પહેલી લહેર અને બીજી લહેર વચ્ચેના સમય પર સરકાર દ્વારા કેટલીક છુટછાટ મળી હતી. જેને કારણે લોકો બિન્ધાસ્ત ફરવા માટે જતા હતા. અમદાવાદનાં નજીકના કહેવાતા દિવ, દમણ, માઉન્ટ આબુ તેમજ ઉદયપુર જવા અમદાવાદીઓ કોઇ પણ રીતની રોકટોક અને સર્ટિફિકેટ વગર ફરવા માટે જતા હતા.
ફરવાના શોખીનો પર ફુલસ્ટોપ ત્યારે આવી ગયું કે જ્યારે કોરોનાની બીજી લહેર ચિત્તાની ઝડપે આવી ગઇ. કોરોનાએ બીજી લહેરમાં દરેકનાં ઘરમાં એન્ટ્રી લઇ લેતાં હાહાકાર મચી ગયો હતો. ઠેર ઠેર મોતનું તાંડવ એવી રીતે સર્જાયું હતું કે સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું. હાલ કોરોનાની બીજી લહેર શાંત પડી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
બીજી લહરમાં સરકારે મિની લોકડાઉન જાહેર કરી દીધું હતું. જેમાં હવે ધીમે ધીમે છુટછાટ મળી રહી છે. આજથી સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે તેવી જાહેરાત સરકારે બે દિવસ પહેલાં કરી હતી. કાચબાની ગતિએ લોકોનું જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે ત્યારે કોરોનાની દહેશત વચ્ચે જીવી રહેલા અમદાવાદીઓએ મૂડ ફ્રેશ કરવા માટે વેકેશન ટ્રિપ પર જવાનો પ્લાન ઘડી નાખ્યો છે. ઇન્ટનેશનલ ટૂર બંધ હોવાના કારણે અમદાવાદીઓ રાજસ્થાન, ગોવા, હિમાચલ પ્રદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છે.
અમદાવાદીઓ પ્લાન બનાવી રહ્યા છે પરંતુ તેમને એ વાતની ખબર નથી કે હવે બહારગામ ફરવા જવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે અથવા વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ જરૂરી છે. માઉન્ટ આબુમાં હોટલ ધરાવતા એક માલિકે જણાવ્યું છે કે અમદાવાદીઓનું બુકિંગ શરૂ થઇ ગયું છે અને કેટલાક લોકો તો આવી પણ ગયા છે. આબુમાં તે જ લોકોને એન્ટ્રી મળશે જેમની પાસે વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ હશે અથવા તો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ હશે.
વેક્સિનનાં બે ડોઝનાં સર્ટિફિકેટ હોય તો બહારગામ ફરવા જવા માટે કોઇ કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વેક્સિનનો બીજો ડોઝ લીધાના 28 દિવસ બાદ કોઇ પણ વ્યકિત દેશની કોઇ પણ જગ્યાએ આસાનીથી જઇ શકશે.
જો કોઇ ફરવા લાયક જગ્યાએ લાગવગ લગાવીને પહોંચી પણ જાઓ પરંતુ હોટલમાં આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અથવા તો સર્ટિફિકેટ નહીં હોય તો તમને રૂમ નહીં મળે જેના કારણે રોડ ઉપર પણ સૂવાના દિવસો આવી શકે છે.