કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ નાગરિકતા સંશોધન એક્ટના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર જારી રાખ્યાં છે. આજરોજ રાહુલ ગાંધીએ ટવિટ કરી પીએમ મોદીને ખોટા સાબિત કર્યા છે. આસામમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલા એક વીડિયોને ટવિટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે RSS ના પ્રધાનમંત્રી ભારત માતા સાથે ખોટુ બોલી રહ્યાં છે.
આસામમાં ડિટેન્શન સેન્ટર મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર
RSSના પ્રધાનમંત્રી ભારત માતા સાથે ખોટું બોલે છે
રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર કર્યો પ્રહાર
રાહુલ ગાંધીએ પોતાના ટવિટની સાથે #JhootJhootJhoot હૈશટેગનો ઉપયોગ કર્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ આસામમાં તૈયાર થઇ રહેલા ડિટેન્શન સેન્ટરનો વીડિયો શેર કર્યો છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ ભાષણ પણ ટવિટ કર્યું છે જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.
ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હી ખાતેની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન, નેશનલ રજિસ્ટર ઓફ રજિસ્ટર પર નિવેદન આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે હવે જે લોકો ભ્રમમાં છે તેમને જણાવું છે કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવવામાં આવેલ ડિટેન્શન સેન્ટરની અફવા ખોટી છે. દેશને તબાહ કરનાર નાપાક ઇરાદાઓથી ભરેલી છે. આ ખોટું છે, ખોટું છે અને ખોટું છે.
ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી, ત્યારે બીજી તરફ આસામમાં દેશના પહેલા સૌથી મોટા ડિટેન્શન સેન્ટર પર કામ જારી હોવાનું બહાર આવ્યું છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર કર્યો પલટવાર
રાહુલ ગાંધીના ટવિટ પર ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પલટવાર કર્યો છે. નકવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીને ભારત માતા યાદ આવી, આ આશ્ચર્યની વાત છે કારણ કે તેમના માટે એક જ માતા છે. જે સાપ-સીડીની આ રમત રમી રહ્યાં છે, તેમાં તેઓ ઉંધા મોએ પછડાટ ખાશે. આ લોકોએ પહેલા CAA પછી NRC પછી NPR પર સવાલ ઉભા કર્યા છે. આ ભય અને ભ્રમનું ભૂત ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.