નવી દિલ્હીઃ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ ફરીથી સપાટી પર આવી રહ્યા છે. ચૂંટણી આડે ગણતરીનો જ સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો અને તેના પડદા પાછળના સાથીઓએ કમર કસી છે. ભાજપના સહયોગી આરએસએસે ફરીથી પોતાનો જુનો દાવ ખેલ્યો છે. સંઘના સુપ્રીમો મોહન ભાગવતે રામ મંદિર બનાવવા માટે સરકારને કાયદો ઘડવાની ભલામણ કરી છે.
શું કાયદાની મદદથી ચૂંટણી પહેલા રામ મંદિર બની શકે?
2014માં ભાજપના ચૂંટણી વાયદાઓ પૈકીનો મુખ્ય વાયદો એટલે રામ મંદિર. પરતું રામ મંદિરનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે ભાજપની માતૃ સંસ્થા આરએસએસે રામ મંદિર માટે સંસદમાં કાયદો બનાવવાનો રાગ આલાપ્યો છે. વિજ્યાદશમીના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સર સંઘચાલક મોહન ભાગવતે સરકાર સમક્ષ એક મોટી માગ રાખી છે.
તેમણે આહવાન કર્યું છે કે જમીન માલિકીના હકનો નિર્ણય કરવાની પ્રક્રિયા ઝડપી થવી જોઈએ અને સરકારે સંસદમાં કાયદો બનાવીને મંદિરનું નિર્માણ શરૂ કરાવવું જોઈએ.
સંઘના સુપ્રીમોએ ચૂંટણીમાં વધુ એક વખત પોતાના સાથી પક્ષ ભાજપને બહુમતી અપાવવા માટે રામ મંદિરનો મુદ્દો તો ઉછાળ્યો છે. પરંતુ રામ મંદિર માટે સંસદમાં કાયદો ઘડવો તેટલું સહેલું નથી જેટલું ભાગવત વિચારી રહ્યા છે. ભલે લોકસભામાં અત્યારે એનડીએના સહયોગીઓ પાસે સ્પષ્ટ બહુમતિ છે. પરંતુ એનડીએના જ કેટલાય સહયોગી આ મુદ્દે કાયદો બનાવવાના વિરોધમાં છે. જો ભાજપના સાથી પક્ષો માની જાય તો પણ ચૂંટણી પહેલા આ કાયદો બનાવવો લોઢાના ચણા ચાવવા બરાબર છે.
કારણ કે કાયદો બનાવવા માટે લોકસભાની સાથે રાજ્યસભામાં પણ બહુમતીની જરૂર હોય છે જે હાલ સરકાર પાસે નથી. રાજ્યસભામાં પાસ કર્યા બાદ પણ કાયદાના અમલ માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂર બાદ કાયદાના અસ્તિત્વ માટે રુલ્સ અને રેગ્યુલેશનને સંવિધાનિક રીતે તૈયાર કરવા પડે છે.
બીજી તરફ કોઈ પણ કાયદો બનાવવાની પ્રક્રિયા પણ લાંબો સમય માંગી લેનારી હોય છે. આ પ્રક્રિયા પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટ તૈયાર કરવાની સાથે શરુ થાય છે અને કાયદો લાગુ કરવા સુધીમાં લગભગ 9થી 10 મહિનાઓ જેટલો સમય લાગે છે.
શું છે પ્રક્રિયા ?
કોઈ પણ કાયદો બનાવતા પહેલા તેનો ડ્રાફ્ટ તૈયાર થાય છે. સંભવિત ડ્રાફ્ટ તૈયાર કર્યા બાદ ડ્રાફ્ટ લોકસભામાં રજૂ કરવાનો હોય છે. લોકસભામાં બહુમતિ સાથે ડ્રાફ્ટ પસાર થાય તો જ પ્રક્રિયા આગળ વધે. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યસભામાં કાયદાનો ડ્રાફ્ટ પ્રસાર થાય. રાજ્યસભા કાયદાને મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાના રુલ્સ અને રેગ્યુલેશન તૈયાર થાય છે. રુલ્સ અને રેગ્યુલેશનને બંધારણીય રીતે તૈયાર કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એક કાયદો અસ્તિત્વમાં આવે છે.
લોકસાભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે સંઘ ઉતાવળમાં છે. પરંતુ ચૂંટણી પહેલા મંદિરના નિર્માણ માટેનો કાયદો બનાવવા માટે પુરતો સમય નથી. તેવામાં એવી સંભાવના નહિવત છે કે સરકાર રામ મંદિર માટે કોઈ કાયદો લાવે. કારણ કે રામ મંદિરનો મુદ્દે સંવેદનશીલ છે. તેવામાં યોગ્ય પગલુ ભરવામાં ન આવે તો કાચુ કપાઈ શકે તેમ છે. તો બીજી તરફ નારાજ પક્ષો આ કાયદાની સંવિધાનિક માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ભૂતકાળમાં પણ અનેક કાયદાની કાયદાકીય માન્યતાને પડકારવામાં આવી છે અને ધારા 377 તેનો ઉત્તમ નમુનો છે. આવા સંજોગોમાં રામ મંદિરના નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટનો આધાર રાખવો તે જ હિતાવહ છે.