નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો: મોહન ભાગવત
મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મુખ્યાલયમાં દશેરાના તહેવાર પર શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ દરમ્યાન RSSના વડા મોહન ભાગવતે વસ્તીના અસંતુલનનો મુદ્દો ઉઠાવીને વિશ્વના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતને વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર છે. આ દરમ્યાન તેમણે મહિલા સશક્તિકરણ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે , વસ્તી નિયંત્રણની સાથે, ધાર્મિક રેખાઓ પર વસ્તી સંતુલન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને અવગણી શકાય નહીં. વસ્તીને સંસાધનોની જરૂર છે. જો તે સંસાધન વધાર્યા વગર વધશે તો તે બોજ બની જશે. તેમણે કહ્યું, 'જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે પણ એક સાધન છે. સંપત્તિ પણ છે. કોઈ પણ દેશમાં 57 કરોડ યુવાનો નથી. આપણો પાડોશી દેશ ચીન જૂનો થઈ ગયો છે. પણ આપણે વિચાર સમજવો પડશે.
આ સાથે ભાગવતે કહ્યું કે, વસ્તીના અસંતુલનને કારણે ભૌગોલિક સીમાઓ પણ બદલાય છે. આ દરમ્યાનતેમણે અસંતુલનનાં કારણો પણ ગણાવ્યાં. જન્મ દરમાં તફાવત ઉપરાંત, ધર્માંતરણ અને બળજબરીથી ઘૂસણખોરી, લાલચ અથવા લોભ પણ આના મુખ્ય કારણો છે. ભાગવતે કોસોવો અને દક્ષિણ સુદાન જેવા દેશોનું ઉદાહરણ આપ્યું, જે વસ્તીમાં ધર્મના અસંતુલનના કારણે ઉદભવ્યા.
મહત્વનું છે કે, સંઘના વડાએ સ્પષ્ટપણે કહ્યું કે, વસ્તીને લઈને એક વ્યાપક નીતિ બનાવવી જોઈએ અને તેમાં કોઈને પણ છૂટ આપવી જોઈએ નહીં. નીતિ બધાને સમાનરૂપે લાગુ થવી જોઈએ. જો કંઈક ફાયદાકારક હોય, તો તે સમાજ દ્વારા સરળતાથી સ્વીકારવામાં આવે છે. પરંતુ જ્યાં દેશ છોડીને જવું પડે છે ત્યાં થોડી સમસ્યા છે.