રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી આરક્ષણ પર ચર્ચા કરવાની વકીલાત કરી છે. ભાગવતે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પણ આરક્ષણનાં મુદ્દાને ઉઠાવ્યો હતો. જ્યાર બાદમાં વિપક્ષે તેને ઉછાળ્યો અને બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા આરએસએસ પ્રમુખે આરક્ષણ પર ફરી વાર નિવેદન આપ્યું છે.
ભાગવતે રવિવારનાં રોજ એક કાર્યક્રમમાં કહ્યું કે, જો આરક્ષણનાં પક્ષમાં છે અને જે તેની વિરૂદ્ધમાં છે તેને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આની પર વિમર્શ કરવું જોઇએ. સંઘ પ્રમુખે કહ્યું કે, તેઓએ આરક્ષણ પર પહેલા પણ વાત કરી હતી પરંતુ ત્યારે તેની પર ખૂબ મોટી બબાલ મચી ગઇ હતી અને અસલી મુદ્દાએથી ભટકી જવાયું હતું. ભાગવતે કહ્યું કે, જે લોકો આરક્ષણનાં પક્ષમાં છે તેને તેનો વિરોધ કરનારાઓનાં હિતને ધ્યાનમાં રાખતા બોલવું જોઇએ.
ભારતમાં હાલમાં અનુસૂચિત જાતિને 15 ટકા, અનુસૂચિત જનજાતિને 7.5 ટકા, ઓબીસી એટલે કે પછાત વર્ગની જાતિઓને માટે 27 ટકા અને ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ મળી રહ્યું છે. બાકી બચેલા 40.5 ટકા નોકરીઓ સામાન્ય વર્ગ માટે છે. તમને જણાવી દઇએ કે સંઘ પ્રમુખ મોહન ભાગવતે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીનાં ઠીક પહેલા આરક્ષણ નીતિની સમીક્ષા કરવાની વકીલાત કરી હતી અને તેઓએ એવો તર્ક આપ્યો હતો કે આ વર્ષો જૂની વ્યવસ્થા છે. ભાગવતનાં આ નિવેદન બાદ તમામ રાજનીતિક દળો અને જાતીય સંગઠનોએ આકરો વિરોધ કર્યો હતો.
સંઘ પ્રમુખે એક વાર ફરી આરક્ષણની સમીક્ષાની વાત એવા સમયે કરી કે જ્યારે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા બીજેપી આ ત્રણ રાજ્યોમાં વધારે ઉત્તમ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણામાં જાટ અનામતને લઇને અનેક આંદોલનો થયા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઓબીસી, દલિતો અને આદિવાસીઓનો મોટો હિસ્સો છે, જ્યારે હરિયાણામાં નોંધપાત્ર સંખ્યામાં ઓબીસી અને દલિતો છે. બિહારની જેમ જો વિપક્ષી પાર્ટીઓ ભાગવતનાં નિવેદનને ચૂંટણીનો મુદ્દો બનાવે છે તો ભાજપ દ્વારા કરવામાં આવેલી રાજકીય રમત બગડી શકે છે. જો કે નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવીને વાતાવરણને મોટે ભાગે પોતાનાં પક્ષમાં કરી દીધું છે.