વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈ તો RSS પ્રમુખ મોહન ભાગવત 23,24 અને 25 જૂલાઇએ ગુજરાત આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
RSS પ્રમુખ મોહન ભાગવત પણ ગુજરાતના પ્રવાસે
PM મોદી 28-29 જુલાઇએ ગુજરાતમાં
ગુજરાત વિધાનસભાની જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ કેન્દ્રના મોટા નેતાઓના આટાફેરા પણ વધી ગયા છે. PM મોદી અને અમિત શાહ સતત ગુજરાત પ્રવાસ કરી લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમો કરી લોકોની વચ્ચે જઈ રહ્યા છે. બીજી તરફ સંધ તરફથી મોહન ભાગવત પણ ગુજરાત ચૂંટણીને લઈ 23 જુલાઇએ પ્રવાસ ખેડી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. તેઓ 23 જુલાઇએ સવારે અમદાવાદ પહોંચશે. જે બાદ સવારે 11 કલાકે NFSUમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વાસ પ્રોજેક્ટ અને E-FIR પ્રોજેકેટની શરૂઆત કરાવશે. બપોરે 3 વાગ્યા બાદ અમિત શાહ માણસાની મુલાકાત લેશે. જ્યાં અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલયનું નિરીક્ષણ કરશે. તે બાદ નગરપાલિકા હોલ, માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. અમિત શાહ પ્રવાસના 2જા દિવસે 24 જુલાઇએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે
RSS પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે
તો આ તરફ RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ગુજરાત પ્રવાસ ગોઠવ્યો છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વનો ગણાઇ રહ્યો છે. તેઓ 23,24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે.
28 અને 29 જુલાઈએ PM મોદીનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) કરશે. નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અગાઉ તારીખ 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ રાજ્યમાં અવિરત મેઘમહેરના કારણે PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરાયો હતો.