ક્યારેક કોઈ ખાસ ખેલાડી કોઈ ટીમ સાથે જોડાય છે તો એ ટીમનું નસીબ બદલાઈ જાય છે. આ વખતે આઇપીએલમાં કંઈક આવો જ સંયોગ વેન્કટેશ ઐયર અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વચ્ચે જોવા મળ્યો.
વેન્કટેશ ઐયરે KKRનું નસીબ પલટી નાખ્યું
કેકેઆર ટીમે વેન્કટેશ ઐયરને દરેક મેચમાં રમાડ્યો
વેન્કટેશ ઐયરે કેકેઆરનું નસીબ પલટ્યું
કેકેઆરની ટીમ વર્તમાન સિઝનના ભારતમાં રમાયેલા પહેલા તબક્કાની સાત મેચમાં બે જીત અને પાંચ હાર સાથે સાતમા સ્થાને હતી અને તેનું પ્લેઓફમાં પહોંચવું બહુ જ મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ વેંકટેશ ઐયરને જેવી તક મળી, ટીમનું નસીબ બદલાઈ ગયું.
વેન્કટેશ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યુ
કેકેઆરે પ્રથમ તબક્કાની પોતાની સાત મેચમાં વેંકટેશ ઐયરને એક મેચમાં રમવાની તક આપી નહોતી. ત્યારબાદ આઇપીએલના બીજા તબક્કાની યુએઈમાં શરૂઆત થઈ ત્યારે કેકેઆર ટીમે ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદેલા વેંકટેશને પોતાની દરેક મેચમાં રમાડ્યો. પરિણામ એ આવ્યું કે વેંકટેશે શાનદાર પ્રદર્શન કર્યુ અને કેકેઆરનું નસીબ પણ પલટ્યું. યુએઈમાં કેકેઆર ટીમે સાતમાંથી પાંચ મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું અને ત્યારબાદ ગઈકાલે દિલ્હીને હરાવીને ફાઇનલની ટિકિટ પણ કન્ફર્મ કરી લીધી.
કેકેઆરને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ
કેકેઆરની ડૂબતી નાવને બચાવીને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વેંકટેશ ઐયરને આઇપીએલ-૨૦૨૧ના પહેલા તબક્કામાં કોઈ જાણતું પણ નહોતું. પરંતુ યુએઈમાં બીજા તબક્કામાં વેંકટેશ ઝળકી ઊઠ્યો. આઇપીએલ-૨૦૨૧ના પ્લેઓફમાં ભલે વધુ સારા રનરેટના કારણે કોલકાતાએ ક્વોલિફાય કર્યું હોય, પરંતુ ત્યારબાદ તેણે સાબિત કરી આપ્યું કે તેની ટીમ ફાઇનલમાં રમવા માટે હકદાર છે.
કેકેઆર ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે
એલિમિનેટર મેચમાં પણ આરસીબીને પરાજય આપ્યો અને ગઈ કાલે શારજાહમાં રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટથી હરાવીને યુએઈમાં કુલ નવમાંથી સાતમી મેચમાં જીત મેળવી. હવે કેકેઆરની ટીમ ફાઇનલમાં આવતી કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
વેન્કટેશે 55 રન ફટકાર્યા
ગઈ કાલની મેચમાં વેન્કટેશે 41 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૫ રન ફટકાર્યા. જોકે અંતિમ સમયમાં કેકેઆરની ટીમે સાત રનમાં છ વિકેટ ગુમાવી દેતા મેચ રોમાંચક બની ગઈ હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ અંતિમ ઓવરના પાંચમા બોલ પર છગ્ગો ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.
IPL-2021માં સૌથી વધુ રન બનાવારાની યાદીમાં 17મા નંબરે
વેંકટેશ ઐયરની વાત કરવામાં આવે તો તે આઇપીએલ-૨૦૨૧માં સૌથી વધુ રન બનાવનારા બેટરની યાદીમાં ૧૭મા નંબર પર છે, કારણ કે તેને માત્ર નવ મેચ રમવાની તક મળી છે. આ નવ મેચમાં એક વાર અણનમ રહીને તેણે કુલ ૩૨૦ રન બનાવ્યાં છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૬૭ રનનો રહ્યો છે. ભલે ૧૨૫ના સ્ટ્રાઇક રેટથી વેન્કટેશે રન બનાવ્યા હોય, પરંતુ એ રન કેકેઆર માટે ઘણા મહત્ત્વપૂર્ણ રહ્યા છે. તેણે ત્રણ અર્ધસદી પણ ફટકારી છે. કોલકાતાના ચાહકો આવતી કાલે પણ વેંકટેશ ઐયર પાસેથી વિસ્ફોટક ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે.