આદિવાસીઓની જીવાદોરી સમાન અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત એવી માંડવી સુગર મિલના સંચાલકો વિરુદ્ધ CBI ફરીયાદ થઇ છે. યુનિયન બેંકના રીજનલ મેનેજર દ્વારા CBIમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુગર મિલના પ્રમુખ અને MD સહીતના 17 ડિરેક્ટરો વિરુધ ભોપાલ CBIમાં ફરિયાદ નોંધાઈ છે.
માંડવી સુગર મિલના સંચાલકો વિરુદ્ધ CBIમાં ફરિયાદ
સભ્યોની જાણ બહાર સભ્યોના નામે 42 કરોડની લોન મામલે નોંધાઈ છે ફરિયાદ
યુનિયન બેંકના રીજનલ મેનેજરે નોંધાવી છે ફરિયાદ
માંડવી સુગરમિલના ભરૂચ, સુરત, તાપી અને મહારાષ્ટ્ર મળી 67 હજારથી વધુ સભ્યો છે. વર્ષ 2016 અને 2017થી ઉચાપતની શરૂઆત થઇ છે. શરૂઆતમાં સંચાલકો દ્વારા સભ્યો દ્વારા સુગર મિલમાં પીલાણ માટે નાખવામાં આવેલી શેરડીના પૈસા ચુકવવામાં આવ્યા ન હતા. સભ્યો સુગર મંડળી વિરુદ્ધ પૈસા બાબતે લડત ચલાવી રહ્યા હતા. જોકે સભ્યોને વધારે ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એમને જાણ થઇ કે એમના નામ પર એમની જમીન પર બોજો પાડી સુગરના સંચાલકો દ્વારા બારોબાર 42 કરોડ જેટલી KCC લોન લેવામાં આવી છે. આ સભ્યોને ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે એકબાદ એક ખેડૂત સભ્યોને બેંકમાંથી નોટીસ મળવા લાગી હતી. વાત માત્ર બેંક દ્વારા કરવામાં આવેલા ધિરાણની નથી. સંચાલકોની ઉચાપતની વાત કરવામાં આવે તો 42 કરોડની બેંક લોન સાથે સભ્યોની જમા FD, ટ્રાન્સપોટેશન, વાહન, શેરડીના પૈસા સહિત કુલ રકમ 120 કરોડની થવા જાય છે.
યુનિયન બેંકના રીજનલ મેનેજરે નોંધાવી છે ફરિયાદ
જોકે આ સમગ્ર મામલે ખેડૂત સભ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેને લઇ પ્રમુખ, ઉપપ્રમુખ અને MDને જેલની સજા પણ થઇ હતી. કોર્ટ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે બેંકનું લેણું બાકી હોવાથી બેંકના રીજનલ મેનેજર દ્વારા સુગર મિલના સંચાલકો વિરુદ્ધ CBIમાં ફરિયાદ કરી હતી અને છેલ્લા 2 મહિનાથી CBI દ્વારા તપાસ ચાલી રહી હતી અને અંતે CBI દ્વારા 2 દિવસ પહેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને MD સહીત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ કરી રહી છે.
બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ
સભાસદો આક્ષેપ કરી રહ્યાં છે કે બેન્ક અને સુગર ફેક્ટરીના વહીવટ કરતાની મીલીભગત વગર આ કૌભાંડ શક્ય જ ન હોઈ શકે. બેંક સામે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. જોકે સમગ્ર ઘટનામાં નિર્દોષ ખેડૂતોને તેમના મહેનતના રૂપિયા મળે અને સુગર મિલ ફરી ચાલુ થાય એવી માંગ કરી રહ્યા છે.