કેન્દ્ર સરકાર 10 પાસ બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રુપિયાનું બેરોજગારી ભથ્થું આપી રહી છે તેવા મેસેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો થયો
10 પાસ યુવાનોને દર મહિને 3500 રુપિયાનું ભથ્થું મળશે
મેસેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે
રજિસ્ટ્રેશન માટે વેબસાઈટની લિંક અપાઈ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના 2021 માટે પ્રી રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, આ યોજના અંતર્ગત તમામ બેરોજગારોને દર મહિને 3500 રુપિયાનું ભથ્થું મળશે.
આ સંદેશની સાથે એક વેબસાઈટની લિંક પણ આપવામાં આવી છે અને આ લિંક પર ક્લીક કરીને યુવાનોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું કહેવાઈ રહ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની ફી નથી તથા અરજદારોની ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા ધોરણ 10 મું પાસ કરેલું હોવું જોઈએ.
આ મેસેજ એટલી હદે સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે કેન્દ્ર સરકારે ખુલાસો આપવા આગળ આવવું પડ્યું. કેન્દ્ર સરકારે આ મેસેજને ખોટો ગણાવ્યો છે. સોશિયલ મીડિયાના દાવાની સચ્ચાઈ જાણીને લોકો સમક્ષ રજૂ કરનાર સરકારી સંસ્થા PIB Fact Check એ જણાવ્યું કે આ દાવો સદંતર ખોટો અને પોકળ છે.
PIB Fact Check તરફથી કહેવાયું કે સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા હેઠળ કેન્દ્ર સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રુપિયાનું ભથ્થું આપી રહી છે. આ દાવો ખોટો છે અને તે છેતરપિંડીનો પ્રયાસ છે. આવી કોઈ નકલી વેબસાઈટ પર તમારી અંગત માહિતી શેર ન કરતા.
સરકાર તરફથી એવું પણ કહેવાયું કે એસએમએસ, ઈમેઈલ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવનાર આવી કોઈ લિંક પર ક્લિક ન કરો અને તમારી કોઈ અંગત જાણકારી પણ ન આપો.