ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. જ્યારે 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પોલીસે આ મામલે ભેંસોના માલિક સામે ફરિયાદ નોંધી છે.
વંદે ભારત ટ્રેન સાથે ઢોર ભટકાવાથી નુકસાનનો મામલો
ભેંસોના માલિક સામે દાખલ કરવામાં આવી FIR
RPFએ મૃત ભેંસોના માલિક સામે કાર્યવાહી હાથ ધરી
પશુઓનો ત્રાસ રોડ અને રન-વે પર જ નહીં પણ હવે રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો. વંદે ભારત ટ્રેન જે હાઈસ્પીડ ટ્રેન છે અને આ ટ્રેન વચ્ચે ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક 4 ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. જેમાં 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી.
રેલવેના પાટા પર એકાએક આવી ગયું હતું ભેંસોનું ટોળુ
આ દુર્ઘટના અમદાવાદના વટવા પાસે બની હતી. વટવા-મણિનગર રેલવેના પાટા પર એકાએક ભેંસોનું ટોળુ આવી ગયું હતું. ભેંસો પાટા પર આવી જતાં ટ્રેન રોકતાં રોકતાં તે અથડાઈ ગઈ હતી. કારણ કે ગાડી ફૂલ સ્પીડમાં હતી. એને એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, જો એવું કરે તો ગાડી પાટા પરથી નીચે આવી જાય. તેવામાં યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં ભેંસો ટ્રેન સાથે અથડાઈ ગઈ. જેમાં ટ્રેનનું આગળનું પ્રોર્શન થોડું ડેમેજ થયું હતું. જેને રિપેર કરીને ટ્રેનને ગાંધીનગર રવાના કરાઈ હતી. જો કે, આ અક્સ્માતમાં ભેંસોના તો રામ જ રમી ગયાં.
30 સપ્ટેમ્બરે જ PM મોદીએ આપી હતી લીલીઝંડી
તમને જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે જ લીલીઝંડી આપી હતી. 1 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ શરૂ થઈ હતી. તે રવિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ કાર્યરત રહેશે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનથી સવારે 6.10 વાગ્યે ઉપડે છે અને બપોરે 12.30 વાગ્યે ગાંધીનગર પહોંચે છે. ટ્રેન ગાંધીનગરથી બપોરે 2.05 વાગ્યે ઉપડે છે અને રાત્રે 8.35 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે. આ ટ્રેન સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશન પર ઊભી રહે છે.