દિલ્હી કેપિટલ્સ સામે હાર્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK)ના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટીમના પ્રદર્શન ઉપર પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું કે, ''અમે મેચ હાર્યા પછી રોજ બહાનું ન બનાવી શકીએ.'' IPLની આ સિઝનમાં બેંગ્લોર સતત છઠી મેચ હાર્યું હતું. હવે પ્લે-ઓફમાં પહોંચવા માટે બેંગ્લોરને બાકીની 8 મેચો જીતવી પડશે. દિલ્હીએ 150 રનનો પીછો કરતા 4 વિકેટે મેચ જીતી હતી.
કોહલીએ કહ્યું કે, ''અમને લાગ્યું હતું કે 160 રનના સ્કોરમાં અમે ફાઇટ આપી શકીએ તેમ હતા. પરંતુ નિયમિત અંતરે વિકેટો પડતા તેમ થયું ન હતું. હું છેલ્લે સુધી ક્રિઝ ઉપર ઉભો રહેવા માંગતો હતો. મને લાગે છે કે અમે 150 રન પણ ડિફેન્ડ કરી શકીએ તેમ હતા. તે માટે અમારે તકનો લાભ ઉઠાવાનો હતો, જે કરવામાં અમે નિષ્ફ્ળ રહ્યા હતા.''
છેલ્લી ઓવરોમાં આઉટ થતા નિરાશ થયો હતો
કોહલીએ આ મેચમાં 33 બોલમાં 41 રન કર્યા હતા. તેણે કહ્યું કે, ''અમે હજી સુધી મેચના દિવસે સારું રમી શક્યા નથી. આ સિઝનમાં જ અમારી ટીમ સાથે બનતું આવ્યું છે. મારી પાસે આ પ્રકારની ઇનિંગ્સ રમવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. વિકેટ ઉપર બેટિંગ કરવી અઘરી હતી. એબી ડિવિલિયર્સના આઉટ થયા પછી મારે ઇનિંગ્સને સંભાળવાની હતી. જોકે છેલ્લી ઓવરોમાં આઉટ થતા હું નિરાશ થયો હતો. જો હું વિકેટ ઉપર ઉભો રહ્યો હોત તો અમે બીજા 25-30 કરી શકીએ તેમ હતા.''
RCBની ટીમે IPL સિઝન 12ની શરૂઆતથી લઇને અત્યાર સુધીની 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની આ ટીમે IPLની સિઝનની શરૂઆતથી સૌથી વધારે મેચ હાર્યાના રેકોર્ડની બરાબરી કરી દીધી છે. RCB પહેલા દિલ્હી ડેયરડેવિલ્સે IPL 2013માં સતત 6 મેચ ગુમાવી હતી અને જ્યારે IPL 2019માં વિરાટ કોહલીની RCBએ આ પ્રકારના રેકોર્ડ પોતાના નામે કરી લીધો.