સૌરાષ્ટ્રમાં મેઘકહેરને પગલે મુસાફરોની સલામતીના ભાગરૂપે રાજકોટ ST વિભાગ દ્વારા અનેક રુટ બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ST વિભાગ દ્વારા લેવાયો નિણર્ય
વેરાવળ, ઉના, દીવ અને કોડીનારની ST બસોના રૂટ કરાયા બંધ
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર પંથક પર મેઘો ગાંડોતુર બનીને વર્ષી રહ્યો છે. જેને લઈને અનેક સ્થળોએ પુલ તૂટવા સહિતના તારાજીના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલને પગલે ST વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અનેક બસના રુટ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ST તંત્ર દ્વારા નિર્ણય લઈને વેરાવળ, ઉના, દીવ અને કોડીનારની ST બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત અનેક તાલુકા અને જિલ્લાના રુટ પર હાલ પૂરતી ST વિભાગ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. જેના પગલે એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન જવાની શક્યતા છે પરંતુ પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહું છે.
ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીને લઈને આજે બીજા દિવસે પણ રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ, વેરાવળમાં 5.25 ઇંચ, માંગરોળમાં 4.5 ઇંચ, હળવદમાં 2.25 ઇંચ, ધરમપુરમાં 2.25 ઇંચ, પારડીમાં 2.25 ઇંચ, ભૂજમાં 2.25 ઇંચ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે હાંસોટમાં 2 ઇંચ, માળિયામાં 2 ઈંચ, ચિખલીમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ, ખેરગામમાં 1.5 ઈંચ, ધોલેરામાં 1.5 ઈંચ, વાંસદામાં 1.5 ઈંચ અને મહુવામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી
ભારે વરસાદને પગલે કરોડોનાં આંધણ સાથે રાજકોટના મોટાભાગના તાલુકાઓમાં ડામરના રસ્તા માટીના રસ્તા બની ગયા છે. તો ક્યાંય મુખ્યમાર્ગનો પુલ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં જેતપુરમાં ભારે વરસાદને કારણે જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી થયો છે. ધોધમાર વરસાદ પડતા લેધિકા અને ગોંડલનું પાણી ફોફળ નદીમાં આવ્યું છે. જેને કારણે પુલ ધરાશાયી થયો છે. પુલ બેસી જવાથી જામકંડોરણાથી ગોંડલ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્રના જામનગર સહિત અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તેવામાં પુલ તૂટવા અને સસ્તાઓનું ધોવાણ થવા ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ ST તંત્ર દ્વારા વેરાવળ, ઉના, દીવ અને કોડીનાર સહિતના વિસ્તારોની રુટની બસ બંધ કરી દેવામાં આવી છે.