શ્રી મારૂતિ યોગાશ્રમ વોર્ડ કેન્દ્રવર્તિ શાળા નં.83ની શાળામાં 177 વિધાર્થીઓ પણ વર્ગ 4 જ, વિપક્ષના શિક્ષણમંત્રીને આકરા સવાલ
ભાવનગરની ઓરડા વગરની શાળા
કાળીયાબીડની શાળામાં માત્ર 4 જ વર્ગો
કાળીયાબીડની શાળામાં 177 વિધાર્થીઓ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મુદ્દે મસમોટા દાવાઓ કરવામાં આવે છે.ગૃહની કામગીરી દરમિયાન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઇને અનેક ચોંકાવનારી માહિતી સામે આવતી રહે છે.વિપક્ષ પણ સતત સરકારની શિક્ષણનીતિ પર સવાલ કરી રહ્યું છે.
શિક્ષણમંત્રીના વિસ્તારમાં શાળાની દયનીય સ્થિતિ
આ દ્રર્શ્યો કોઇ છેવાડાના આદિવાસી વિસ્તારની શાળાના નથી.પરંતુ વિકસિત ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિસ્તાર ભાવનગરના કાળીયાબીડની અને ભાવનગર મનપા સંચાલિત શ્રી મારૂતિ યોગાશ્રમ વોર્ડ કેન્દ્રવર્તિ શાળા નં.83ના છે.આ નાના ભૂલકાઓ ઉનાળાની શરૂઆતમાં તડકામાં બેસીને શિક્ષણ લઇ રહ્યા છે.કાળીયાબીડ વિસ્તારમાં આવેલી આ શાળામાં ધોરણ 1થી 8ના 177 વિધાર્થીઓ અભ્યાસ કરે છે.અહીં વિદ્યાર્થીઓ માટે માત્ર 4 જ વર્ગ ખંડ અને 7 શિક્ષકોની વ્યવસ્થા છે.આ મનપા સંચાલિત શાળા 2010થી મારૂતિ યોગ આશ્રમની જગ્ચામાં ભાડેથી ચાલે છે.ઉનાળાના ધમધોકતા તાપમાં આશરે 40 ડિગ્રી તાપમાનમાં નાના બાળકો શિક્ષણ લઇ રહ્યા છે.આ ધમધોકતા તાપમાં બાળકો શિક્ષણ કેવી રીતે લઇ શકે ?.શું ACમાં બેસતા સત્તાધીશોને આ નાના ભૂલકાઓને પડતી તકલીફોનો અંદાજો નહીં હોય ?.આ સહિતના સવાલો જનતા અને વિપક્ષ પૂછી રહ્યું છે.
ભાવનગરના નજરાણા જેવી શાળાઓ બનાવવાના દાવા
પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સત્તાધીશો ગાજી રહ્યા છે.એક તરફ નાના બાળકો 40 ડિગ્રી તાપમાં અભ્યાસ કરવા મજબૂર છે તો બીજી તરફ સત્તામાં બેઠેલા સત્તાધીશો આ ઓછા વર્ગખંડ અને સુવિધાથી વંચિત શાળાની વિશેષતા જણાવ્વામાં વ્યસ્ત છે.તેઓ આ શાળાને પર્યાવરણની દ્રષ્ટિએ સમુદ્ધ બતાવી રહ્યા છે.તથા આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ આવનારા સમયમાં ભાવનગરના નજરાણા જેવી શાળાઓ બનાવવાના દાવા કરે છે.ભાવનગરનું નવું "નજરાણું" બનાવવાની કામગીરીમાં પણ હાલના સમયમાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે આ વિલંબ માટે પણ સત્તાધીશ રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર માને છે.
શિક્ષણ એ કોઇ પણ સભ્ય અને વિકસિત સમાજ માટે પાયાની જરૂરિયાત છે.ત્યારે એક તરફ આપણે વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ.શિક્ષણના આધુનિકરણની વાતો કરીએ છીએ તો બીજી તરફ શિક્ષણમંત્રીના વિસ્તારની શાળાની આ દયનીય હાલત આપણી શિક્ષણ વ્યવસ્થા અને સરકારી દાવાઓ પર અનેક સવાલો ઉભા કરે છે.